પત્નીની બિમારીથી કંટાળી નાની મોણપરીના બાવાજી પ્રૌઢનું અગ્નિસ્નાન
માંગરોળના દરિયામાં ખાબકતા ખલાસીનું મોત
જૂનાગઢ તા. ૨૬ : પત્નીની બિમારીથી કંટાળી નાની મોણપરીના બાવાજી પ્રૌઢે અગ્નિસ્નાન કરી લેતા અને માંગરોળના દરિયામાં ખાબકતા ખલાસીનું મોત થતા અરેરાટી વ્યાપી ગઇ છે.
વિસાવદર તાલુકાના નાની મોણપરી ગામે રહેતા બાવાજી રતિલાલ તુલસીદાસ નિમાવત (ઉ.વ.૫૦)ના પત્નીને ડાયાબીટીસ, થાઇરોડ તેમજ પગની બિમારી હોય જેની અવાર-નવાર સારવાર કરાવવા છતાં સારૂ થતું ન હતું.
આથી ગઇકાલે બપોરના અરસામા પત્નીની બિમારીથી કંટાળી જઇ રતિલાલ નિમાવત પોતાના શરીર પર કેરોસીન છાંટી દિવાસળી ચાંપી દઇ અગ્નિસ્નાન કરી લીધું હતું.
આ પ્રૌઢને ગંભીર હાલતમાં વિસાવદર ખાતેની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવેલ. જ્યાં ફરજ પરના તબીબ ડો. ગરચરે રતિભાઇને મૃત જાહેર કર્યા હતા. વિશેષ તપાસ પોલીસ જમાદાર એન.ડી.સોલા ચલાવી રહ્યા છે.
ખલાસીનું મોત
ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના ખડા ગામના મનસુખ મશરીભાઇ બાંભણીયા (ઉ.૨૮) નામનો ખલાસી ગઇકાલે અન્ય ખલાસીઓ બોટમાં માંગરોળના દરિયામાં ફીશીંગ કરવા ગયો હતો ત્યારે મનસુખભાઇ બોટની પાછળની સાઇડે બેઠા હતા અને અચાનક પડી જતા તેમનું દરિયામાં ડુબી જવાથી મૃત્યુ થયું હતું.