ગારીયાધાર ભાજપમાં ધૂળેટી અને કોંગ્રેસમાં હોળીઃ ન.પા.માં ચિઠ્ઠી ઉલાળતા ભાજપને સત્તા
ચૂંટણીમાં બંને પક્ષને ૧૪-૧૪ બેઠકો મળી હતીઃ ટાઇમાં પણ 'ભાજપ' જીત્યુ
ગારીયાધાર તા.ર૬ : ન.પા.ની નવી બોડીની મળેલી પ્રથમ સામાન્ય સભામાં પ્રમુખ અને ઉપપ્રમુખની વરણીમાં ચિઠ્ઠી ઉલાળતા બંને ભાજપના સદસ્યોની વરણી થતા ભાજપમાં ઉત્સાહ છવાઇ ગયો હતો.
સામાન્ય સભામાં બંને પક્ષ પાસે એકસરખા ૧૪-૧૪ સદસ્યો હોવાથી રહેવાથી પ્રમુખ-ઉપપ્રમુખ માટે બહુમત ન થતા પ્રાંત અધિકારી દ્વારા ચિઠ્ઠી ઉલાળીને નિર્ણય લેવાયો હતો.
જેમાં ભાજપના મહિલા સદસ્ય ગીતાબેન વાઘેલા અને કોંગ્રેસના હીરાબેન જીવાણી વચ્ચે પ્રમુખ માટે ચિઠ્ઠી ઉલાળાઇ હતી. જયારે ઉપપ્રમુખની વરણી માટે કોંગ્રેસના ભાવેશભાઇ ગોરસીયા અને ભાજપના વલ્લભભાઇ જાદવ વચ્ચે ચિઠ્ઠી ઉલાળાઇ હતી. જેમાં પ્રમુખ તરીકે ગીતાબેન વાઘેલા અને ઉપપ્રમુખ તરીકે વલ્લભભાઇ જાદવના નામો ખુલતા બંનેની પ્રમુખ-ઉપપ્રમુખ તરીકે નવા સત્તાધીશ તરીકે જાહેર કરવામાં આવ્યા હતા.
વળી કોંગ્રેસમાં માત્ર હીરાબેન જીવાણીના નામનો ઉલ્લેખ થતા મનીષાબેનના નામનો ઉલ્લેખ ન થતા ખટરાગ જોવા મળ્યો હતો. જયારે કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે લોખંડી બંદોબસ્ત માટે ૧ ડીવાયએસપી, ચાર પીએસઆઇ અને ૧પ પોલીસ અને ૭ મહિલા પોલીસ સાથે પાલીતાણા-ગારીયાધાર બંને મામલતદારોને ખડેપગે રાખવામાં આવ્યા હતા.(૩-૧૧)