મોરબીની ભારતીય વિદ્યાલય ખાતે પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરાઇ
શાળામાં યોજાયેલ રમતોત્સવમાં ભાગ લઈને વિજેતા બનેલા વિદ્યાર્થીઓને શિલ્ડ આપીને સન્માનિત કરાયા
મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ ઉમા ટાઉનશીપની બાજુમાં ભારતીય વિદ્યાલય ખાતે પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે શાળાના સ્થાપક લાલજીભાઈ મહેતાના હસ્તે તિરંગાને ખુલ્લા આકાશમાં લહેરાવીને વિદ્યાર્થીઓ, વાલીઓ સહિતના કાર્યક્રમમાં હાજર રહેલા તમામ લોકો દ્વારા તિરંગાને સલામી આપવામાં આવી હતી અને ત્યારબાદ શાળામાં યોજાયેલ રમતોત્સવમાં ભાગ લઈને વિજેતા બનેલા વિદ્યાર્થીઓને શિલ્ડ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ તકે મોરબી જિલ્લા ચિલ્ડ્રન ડેવલોપમેન્ટ સંસ્થાના પ્રમુખ અને શાળાના સ્થાપક લાલજીભાઈ મહેતા, નારાયણ સેવા સંસ્થાના મોરબી જિલ્લાના કર્તાહર્તા ઘનશ્યામસિંહ ઝાલા, મોરબી પત્રકાર એસોસિએશનના પ્રમુખ હિમાંશુભાઈ ભટ્ટ, ભારતીય વિદ્યાલય શાળાના પ્રમુખ હિતેશભાઈ મહેતા સહિતના હાજર રહ્યા હતા અને તેઓના હસ્તે બાળકોને શિલ્ડ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા ત્યારબાદ બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો હતો તેમાં પણ ખાસ કરીને દેશભક્તિના ગીત ઉપર એકથી એક ચડિયાતી કૃતિઓ વિદ્યાર્થીઓ દ્વારા રજુ કરવામાં આવી હતી
આ તકે પત્રકાર એસોસિએશનના પ્રમુખ હિમાંશુભાઈ ભટ્ટ તથા ભારતીય વિદ્યાલય શાળાના પ્રમુખ હિતેશભાઈ મહેતા દ્વારા કાર્યક્રમમાં હાજર રહેલા વાલીઓને તેમના સંતાનોના માનસિક વિકાસ માટે મોબાઇલથી દૂર રાખીને વધુમાં વધુ શેરી રમતો માટે પ્રોત્સાહિત કરવાની ટકોર કરવામાં આવી હતી