મોરબીમાં સતર્ક : ચિનથી આવ્યા બાદ તાવ-શરદી હોય તેવા લોકોની માહિતિ એકત્ર કરતું આરોગ્ય તંત્ર
કોરોના વાયરસના કહેરને લઈને આરોગ્ય અધિકારીએ સિરામિક એસો.ને પત્ર લખ્યો
મોરબી : ચીનમાં હાલ કોરોના વાયરસે આતંક મચાવ્યો છે હજુ તો આ વાયરસે માત્ર દેખા જ દીધી છે. ત્યાં જ કરોડો લોકોને ઘરમાં પુરાઈ રેવાની નોબત આવી છે. કોરોના વાયરસના કહેરને લઈને મોરબી આરોગ્ય તંત્ર પણ ચિંતિત બન્યું છે. કારણકે અહીં વ્યાપાર અર્થે લોકોની ચીનમાં અવર જવર રહેતી હોય છે. માટે ચીનથી પરત ફરેલા જે લોકોને તાવ- શરદી કે શ્વાસ લેવામાં તકલીફ હોય તેઓની માહિતી એકત્ર કરવામાં આવી રહી છે.
મોરબી જિલ્લા આરોગ્ય અધિકારીએ સિરામિક એસોસિએશનને એક પત્ર લખ્યો છે. જેમાં જણાવાયું છે કે કોરોના વાયરસે ચીનના વુહાન પ્રદેશમાં દહેશત ફેલાવી છે. મોરબી શહેરમાંથી વ્યાપાર અર્થે ઘણા લોકો ચીનની મુલાકાતે જતા હોય છે. આ સંદર્ભે છેલ્લા 14 દિવસમાં ચીન દેશની મુલાકાત લઈને મોરબી પરત ફરેલા હોય અને તાવ, શરદી, કફ, શ્વાસ લેવામાં તકલીફ વગેરે જેવા એકયુરેટ રેસ્પીરેટ ઇન્ફેક્શન જેવા લક્ષણો જોવા મળે તો તાત્કાલિક આરોગ્ય અધિકારીની કચેરીને જાણ કરવી.