ભાદર-૧ સિંચાઈ નહેરમાં કલર - કેમિકલવાળુ પાણી છોડાતા 'જન આરોગ્ય' ઉપર ખતરો
ધોરાજી પંથકના ખેડૂતોમાં ઉગ્ર રોષઃ ડે. કલેકટર કચેરીએ પાઠવાયુ આવેદન
ધોરાજી, તા. ૨૪ :. ભાદર-૧ સિંચાઈ નહેરમાં કલર કેમીકલ્સવાળુ પાણી છોડાતા જન આરોગ્ય ઉપર ખતરો મંડરાઈ રહ્યો હોવાથી ખેડૂતોમાં ઉગ્ર રોષ ભભૂકી રહ્યો છે.
આ મામલે ધોરાજીના ખેડૂત પંકજભાઈ હિરપરા, જગદીશભાઈ રાખોલીયા, વિઠ્ઠલભાઈ હિરપરા સહિતના અગ્રણીઓએ ડે. કલેકટર કચેરી ખાતે સિરેસ્તેદાર સુરેશભાઈ ખીમાણીને રજૂઆત કરતા જણાવેલ કે ધોરાજી તાલુકા તથા બીજા ગામડાઓને સિંચાઈ માટે ભાદર-૧ ડેમમાંથી નહેર દ્વારા શિયાળુ સીઝનમાં અપાતા પાણીમાં ગુરૂવારે સાંજે કોઈ અસામાજીક તત્વો દ્વારા નહેરમાં સાડી ઉદ્યોગનું ધોલાઈ બાદ નિકળતુ કલર કેમીકલ્સવાળુ પાણી ઠાલવી દીધુ હતું.
કેમીકલ્સવાળુ પાણી જમીન તથા પાક માટે ખૂબ જ હાનીકારક હોય છે. જમીન નિર્જીવ બની જવા સાથે જ તળ પણ બગડી જાય છે. આ મામલે સત્વરે યોગ્ય કરવાની ખાત્રી અપાઈ હતી.
એવી જ રીતે ખેડૂતો એ નવા ધારાસભ્ય લલીતભાઈ વસોયાને પણ રજુઆત કરતા લાલપરીના પ્રશ્ને લડત આપવા ખાત્રી મળી હતી.
દરમિયાન સિંચાઈ વિભાગના સેકશન અધિકારી વાય.કે. ગેડીયાએ કહ્યુ હતુ કે, આ પાણી મોટા ગુંદાળા ફરેણી તરફથી છોડવામા આવેલ છે. જે અંગે તપાસ ચાલુ છે અને કેનાલ ઉપર ૨૪ કલાક પેટ્રોલીંગ હાથ ધરાશે. જે અંગે પોલીસને પણ કરાઈ છે.