મોરબીમાં આશારામજીના ભકતો દ્વારા ભકિત જાગૃતિ સંકીર્તન યાત્રા યોજાઈ
મોરબી : સંત શ્રી આશારામજી બાપુની પ્રેરણાથી શ્રી યોગ વેદાંત સેવા સમિતિના નેજા હેઠળ ગુજરાતના વિવિધ શહેરોમાં પ્રસરીને હરિનામ સંકીર્તન યાત્રા ગુરુવારે મોરબી આવી પહોંચી હતી. જે સંકીર્તન યાત્રા વણિક ભોજનશાળા, નહેરુ ગેટ, શાક માર્કેટ, રવાપર રોડ, શનાળા રોડથી મૂળ જગ્યાએ પુર્ણાહુતી કરી આદિપુર તરફ જવા રવાના થઇ હતી સમિતિના પ્રવકતાએ જણાવ્યું હતું કે સંત શ્રી આશારામજી બાપુની પવિત્ર પ્રેરણાથી સમાજમાં એકતાનો સંદેશો આપવાના હેતુથી સમગ્ર વિશ્વમાં આ હરિનામ કીર્તન યાત્રાનું આયોજન કરવામાં આવે છે. સંકીર્તન યાત્રા દરમિયાન સંત શ્રી આશારામજી બાપુના આધ્યાત્મિક જીવન ચરિત્ર આધારિત વિવિધ પ્રકારના બેનરોથી શણગારેલા વાહનો અને ભગવાન નામનું કીર્તન કરતા ભકતો દર્શનાર્થીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. લોકોએ સ્થળે સ્થળે પુષ્પોની વર્ષા કરી હતી, તથા આરતી અને બાપુજીની પૂજા અર્ચન કરી યાત્રાનું સ્વાગત કર્યું હતું. તેમજ આશારામ બાપુ નિર્દોષ છે તેવી ટોપી પહેરી ભકતોએ સંદેશો પણ આપ્યો હતો.