પોરબંદર વ્હીલચેર ક્રિકેટ ટીમના ઓલ રાઉન્ડર ભીમાભાઇ ખૂંટીને વધુ એક વખત ગુજરાત ટીમની જવાબદારી સોંપાઇ
પોરબંદર તા. રપઃ રાજસ્થાનના ઉદયપુરમાં આ મહિનાના અંતમાં શરૂ થઇ રહેલી વ્હીલ ચેર ક્રિકેટ ટુર્નામેન્ટમાં પોરબંદરના વ્હીલ ચેર ક્રિકેટના ઓલરાઉન્ડર ભીમાભાઇ ખૂંટી ફરી એક વખત ગુજરાતની વ્હીલચેર ક્રિકેટ ટીમની કેપ્ટનશીપ કરશે.
ગુજરાતની વ્હીલચેર ક્રિકેટ ટીમ ઉદયપુર જવા રવાના થઇ છે અને તા. ર૭ નવેમ્બરથી ૪ ડિસેમ્બર સુધી ૧૬ રાજયોની વ્હીલચેર ક્રિકેટ ટીમો આમને-સામને ટકરાશે. વિશ્વની મોટામાં મોટી ટી-ર૦ વ્હીલચેર ક્રિકેટ ટુર્નામેન્ટ ઉદયપુર ખાતે થવા જઇ રહી છે. એક જ ટુર્નામેન્ટમાં ૩૦૦+ વ્હીલચેર ખેલાડીઓ ભાગ લેવા જોવા મળશે તેવી આ પહેલી ટુર્નામેન્ટ બની જશે.
ગુજરાત વ્હીલ ચેર ક્રિકેટ ટીમના કેન્ટીન ભીમાભાઇ ખૂંટી એ જણાવ્યું હતું કે વ્હીલચેર ક્રિકેટના ઇતિહાસમાં પહેલીવાર ૧૬ રાજયની ટીમો અને ૩૦૦+ વ્હીછલચેર ક્રિકેટરો એકકી સાથે અને એકજ જગ્યા રમવા જઇ રહ્યા છે તે એક રેકોર્ડ બની જશે. ત્યારે ગુજરાતની વ્હીલચેર ક્રિકેટ ટીમને આવડી મોટી ટુર્નામેન્ટમાં ભાગ લેવાનો મોકો મળ્યો છે તે અમારા માટે ખુશીની વાત છે. આ ટુર્નામેન્ટમાં ગુજરાતની વ્હીલચેર ક્રિકેટ ટીમ સારૂં પ્રદર્શન કરીને અવ્વલ નંબરની ટીમ બનશે તેવી આશા છે. વધુમાં ભીમા ખૂંટીએ જણાવ્યું હતું કે આ વખત ગુજરાતની વ્હીલચેર ક્રિકેટ ટીમમાં બે ફેરફાર કરવામાં આવ્યા છે.
ગુજરાતની વ્હીલચેર ક્રિકેટ ટુર્નામેન્ટમાં પારસ કુબાવતની જગ્યાએ પ્રકાશ ડાંભલિયા ને લેવામાં આવ્યો છે ચંદ્રસિંહ વાસાવા ની જગ્યાએ અમદાવાદના અક્ષય શર્માનો સમાવેશ કરવામાં આવ્યો છે. ગુજરાતની વ્હીલચેર ક્રિકેટ ટીમમાં ભીમા ખૂંટી (કેપ્ટન), મનહર સંગાડા (વાઇસ કેપ્ટન), કલ્પેશ મકવાણા, સંજય બારીયા (વિકેટ કીપર), નિલેશ સોલંકી, અભેસિંહ રાવલ, ભાવેશ રાઠોડ, પ્રકાશ ડાંભલિયા, સંજય મકવાણા, અક્ષય શર્મા, પવન કુમાર, હરિત ગઢવી, લાલા મકવાણા, ચિરાગ મકવાણા (કોચ) સમાવેશ કરાયો છે.