સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 24th November 2022

ભાજપના રાષ્ટ્રીય દિગ્ગજો શનિવારે ભાવનગર જિલ્લામાં

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિતભાઈ શાહ તળાજા તથા મહુવા અને ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ગારિયાધારમાં સભા સંબોધશે

 (વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર :વિધાનસભા ચૂંટણી સંદર્ભે ભાજપના રાષ્ટ્રીય દિગ્ગજો શનિવારે ભાવનગર જિલ્લામાં આવી રહ્યા છે. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિતભાઈ  શાહ તળાજા તથા મહુવા અને ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ગારિયાધારમાં સભા સંબોધશે.
ભાવનગર જિલ્લા ભાજપ અઘ્યક્ષ મૂકેશ લંગાળિયાએ આપેલ વિગતો મૂજબ ભારતીય જનતા પક્ષના તમામ ઉમેદવારોના સમર્થનમાં પ્રદેશ અને રાષ્ટ્રીય કક્ષાના નેતાઓના સભા તેમજ જનસંપર્ક કાર્યક્રમો ગોઠવાયા છે.
  જિલ્લા અને પ્રદેશ સંગઠનના આયોજન સાથે આવતા કેન્દ્રીય ગૃહપ્રધાન અમિતભાઈ  શાહ તળાજા અને મહુવામાં જનસભાઓને સંબોધશે. આ જ દિવસે ગારિયાધાર ખાતે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સભા સંબોધન કરશે.
ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ  ભારતીબેન શિયાળના સંકલન સાથે જિલ્લા ભાજપના મહામંત્રીઓ ભૂપતભાઈ બારૈયા, કેતનભાઈ કાંત્રોડિયા તથા હરેશભાઈ વાઘ સાથે જિલ્લા અને તાલુકાના કાર્યકર્તાઓ ભારે જોમ સાથે  આ ચૂંટણી પ્રચાર સભાઓના આયોજનમાં જોડાયા છે.

(8:13 pm IST)