કચ્છના માંડવીમાં એક તરફી પ્રેમમાં પાગલ યુવતીએ પરીણિતાને છરીના ઘા ઝીંકયા
(વિનોદ ગાલા દ્વારા)ભુજ,તા. ૨૫: માંડવીના મેરાઉ ગામે યુવાનના એક તરફી પ્રેમમાં પડેલી યુવતીએ પ્રેમના પાગલપણામાં યુવાનની પત્નિને છરીના ઘા ઝીંકયા હતા. આ અંગે ઈજાગ્રસ્ત થયેલ પરીણિતા રસીલાબેન કાન્તિ માતંગે તેમના પડોશમાં રહેતી યુવતી કૌશલ્યાબેન જગદીશ કન્નર સામે પોલીસ ફરિયાદ નોધાવી છે.
કૌશલ્યાએ પોતે કાન્તિના પ્રેમમાં છે એવું જણાવી તેણીને કાન્તિ સાથે લગ્ન નહી કરવાની ધમકી દોઢ વર્ષ પહેલાં આપી હતી. હમણાં આઠ મહીના થયા તેના લગ્ન થયા છે, પણ ફરી કૌશલ્યાએ અઠવાડિયા પહેલાં રૂબરૂ ઘરે આવીને રસીલાને ધમકી આપી હતી કે, હું કાન્તિને પ્રેમ કરું છું.
આ વિવાદ વચ્ચે કૌશલ્યાએ રવિવારે ઘરે આવીને રસીલા સાથે ઝઘડો કરી તેણી ને છરીના ઘા માર્યા હતા. લોહીલુહાણ હાલતમાં રસીલાએ બુમાબુમ કરતા કૌશલ્યા નાસી છુટી હતી. ઈજાગ્રસ્ત પરીણિતા રસીલા હોસ્પીટલમાં સારવાર હેઠળ છે.