સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 25th June 2022

કચ્છમા શાળા તથા આંગણવાડીમાં પ્રથમ ડગ માંડનારા બાળકોનું ઢોલ-નગારા સાથે શૈક્ષણિક કિટ આપીને કરાયું સ્વાગત : સર્ગભા અને ધાત્રી માતાઓને અપાઇ પોષણ કીટ

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨૫ : રાજયના બાળકોને ગુણવત્તાસભર શિક્ષણ આપવું તથા કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવું તે ગુજરાત સરકારનો સંકલ્પ છે તે અંતર્ગત તા. ૨૩મીથી ત્રિ-દિવસીય કન્યા કેળવણી મહોત્સવ તથા શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમનો રાજ્યભરમાં પ્રારંભ થયો છે. ત્યારે ભુલકાઓ ખુશી ખુશી શાળા અને આંગણવાડીમાં ઉત્સાહભેર પ્રવેશ મેળવીને આગળ અભ્યાસ કરી પોતાના શહેર, રાજય તથા દેશનું નામ રોશન કરે સાથે વાલીઓ પોતાના બાળકોને નિયમિત શાળાએ મોકલવાનો સંકલ્પ કરે તેવું ભુજ ખાતે હાથીસ્થાન ગ્રુપ શાળાની પાંચ શાળામાં ૨૦૬ તથા આઠ આંગણવાડીમાં ૩૦ નાના ભુલકાઓને પ્રવેશ અપાવતા ગુજરાત વિધાનસભાના અધ્યક્ષાશ્રી ડો.નિમાબેન આચાર્યે જણાવ્યું હતુ. ભુજ ખાતે યોજાયેલા કન્યા કેળવણી મહોત્સવ તથા શાળા પ્રવેશોત્સવના બીજા દિવસે હાથીસ્થાન ગ્રુપ શાળા અંતર્ગત શાળા નંબર-૭, કન્યા શાળા નં.૩, કુમાર શાળા નં.૪ તથા અંગ્રેજી મીડીયમ શાળા તેમજ શાંતિનગરની શિવનગર પ્રાથમિક શાળા નં.૨૪માં ધો.૧ તથા આંગણવાડીમાં બાળકોને ઢોલ-નગારા સાથે આવકારતા વિધાનસભા અધ્યક્ષાશ્રી ડો.નિમાબેન આચાર્યએ જણાવ્યું હતું કે, બાળકો દેશનું ભવિષ્ય છે, ભવિષ્યને મજબુત કરવા શિક્ષકો અને વાલીઓ બંનેનો સહયોગ જરૂરી છે. સરકાર અનેક કાર્યક્રમો તથા યોજના અમલી કરીને બાળકોના શિક્ષણ, આરોગ્ય તથા ઉચ્ચ ભણતરની ચિંતા સેવી રહી છે ત્યારે બાળકોમાં સંસ્કાર સિંચન , સાથે ગુણવત્તાસભર શિક્ષણ અપાય તે શિક્ષકોની જવાબદારી છે. તેમણે વાલીઓને પણ બાળકોને સ્વચ્છતાના પાઠ ભણાવવા, નિયમિત શાળાએ મોકલવા, કન્યાઓને ખાસ ભણાવવા અપીલ કરી હતી. શિક્ષકોને તેમણે શાળા પરીક્ષણ દરમિયાન ખાસ બાળકોનું યોગ્ય રીતે પરીક્ષણ થાય તે જોવા અનુરોધ કર્યો હતો. આ તકે ભુલકાઓ સાથે વાત્સલ્યસભર સંવાદ કરતા અધ્યક્ષાશ્રીએ બાળકોને હમણાંથી જ શું બનવું છે તે નક્કી કરી લેવા અને તે મુજબ ખુબ ખંતથી અભ્યાસ કરવાની શીખ આપીને શિક્ષકો અને વાલીઓનું સન્માન-આદર કરવા તેમજ ઉચ્ચ અભ્યાસ કરીને દેશનું નામ રોશન કરવા જણાવ્યું હતું. તેમણે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીનું ઉદાહરણ આપીને બાળકોને સમજાવ્યું હતું કે, ગરીબ પરિસ્થતિમાં અભ્યાસ કરવા સાથે પિતાને ચા વેંચવામાં મદદ કરતા કરતા એક બાળક કઇ રીતે વડાપ્રધાન પદ સુધી પહોંચી શક્યા છે. તો તમે પણ મા-બાપને મદદ કરવા સાથે પોતાના અભ્યાસમાં એકાગ્રતા કેળવીને ઉજ્જવળ કારર્કિદી બનાવો તેવી મારી શુભકામના છે.  આ તકે તેમણે બાળકોને વિધાનસભાની મુલાકાત કરવા માટે નિમંત્રણ આપ્યું હતું. તેમણે પ્રવેશોત્સવને બાળકો માટે શાળા પ્રવેશનું પ્રથમ સોપાન સાથે શાળા અને અધિકારી, પદાધિકારી તથા આગેવાનો વચ્ચેના સંકલનનું પ્લેટફોર્મ પણ ગણાવ્યું હતું. તેમણે શિક્ષકોને કોઇપણ ખુટતી સુવિધા હોય તે અંગે ગમે ત્યારે રજુઆત કરવાનું જણાવીને ત્વરાએ પુર્ણ કરવા અમે કટિબધ્ધ રહેશું તેવી ખાત્રી ઉચ્ચારી હતી.
    તમામ શાળામાં આ પ્રસંગે શાળામાં દાખલ થનારા બાળકોને શૈક્ષણિક કિટ વિતરણ સાથે સર્ગભા અને ધાત્રી માતાઓને મુખ્યમંત્રી માતૃશકિત યોજના હેઠળ પોષણકીટ આપવામાં આવી હતી. ઉપરાંત બાળકોમાં પર્યાવરણ અંગે જાગૃત બને તે માટે ચાર શાળાના પ્રાંગણમાં વિધાનસભા અધ્યક્ષાશ્રીના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ તકે શાળા નં.૭ માં મધ્યાહન ભોજનના ગુણવત્તાની ચકાસણી કરવા વિધાનસભા અધ્યક્ષાશ્રીએ ખુદ ભોજન લઇને તેની ચકાસણી કરી હતી. આ સાથે જ શિક્ષકોને પણ બાળકોને ભોજન આપતા પુર્વે રોજ ચકાસવા સુચન કર્યું હતું.
    આ કાર્યક્રમમાં સર્વે નગરસેવકોમાં શ્રી બિંદિયાબેન ઠક્કર, શ્રી ધનશ્યામભાઇ ઠક્કર, શ્રી કિષ્નાબેન ઝાલા, શ્રી ગોદાવરીબેન ઠક્કર, શ્રી મંજુલાબેન ગોર, શ્રી ધીરેનભાઇ લાલન,આગેવાનો જગદીશ ગોર, શ્રી જિજ્ઞાબેન ઠક્કર, શ્રી રશ્મિનભાઇ પંડયા તથા અધિકારીઓમાં તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી સામંતભાઇ વસરા, આરપીઆઇ આર.જે. રાતડા, આઇસીડીસીએના જાગૃતિબેન જોષી, સીઆરસી કોર્ડિનેટર કૃપાબેન નાકર સહિતના અધિકારી અને પદાધિકારીઓ , શાળાના આચાર્યશ્રી, શિક્ષકો તથા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ તથા વાલીઓ હાજર રહ્યા હતા.

(9:40 am IST)