ભાવનગરમાં માતાને છરીના ૧૧ ઘા ઝીંકયા
૧૭ વર્ષના પુત્રનું પરાક્રમઃ પોતે પિતા સાથે રહે છેઃ ઝઘડો કર્યોઃ પુત્રીએ કરેલી ફરીયાદઃ એકલવાયુ જીવન જીવતા વનિતાબેન ચૌહાણ ગંભીર
ભાવનગર તા.૨૫: ભાવનગરમાં પુત્રએ માતાને છરીના ૧૧ જેટલા ઉપરા છાપરી ઘા ઝીંકી દેતા હોસ્પીટલ ખસેડાયેલ છે.
બનાવની વિગતો એવી છે કે શહેરના આખલોલ જકાતનાકા વિસ્તારમાં આવેલ સાંઇ વિલાક્ષ ફલેટમાં રહેતા અને પતિ થી જુદા રહી એલકવાયુ જીવન જીવતા વનીતાબેન મનહરભાઇ ચૌહાણ ઉ.વ.૪૭ શહેરના ભરતનગર વિસ્તારમાં શાકમાર્કેટ નજીક કારીગરોને રૂપિયા આપવા ગયા હતા ત્યારે તેના પિતા સાથે રહેતા ૧૭ વર્ષના પુત્રએ ઝઘડો કરી તેની પાસે રહેલ છરીના ઉપરા છાપરી ૧૧ જેટલા ઘા ઝીંકી નાસી છુટયો હતો. આ સમયે તેની સાથે તેની પુત્રી નમ્રતાબેન સાથે હતા. તેણીએ તેના પિતાને પકડી રાખ્યા હતા. પરંતુ પુત્રે માતા ઉપર છરીના ઘા ઝીંકયા હતા.
દરમિયાન વનીતાબેન ચૌહાણને સરટી.હોસ્પીટલ ખસેડાયેલ છે. જયાં તેની સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળેલ છે. આ બનાવ અંગે વનીતાબેનની પુત્રી નમ્રતાબેન હસમુખભાઇ પરમારએ પોતાની માતા ઉપર હુમલો કરવા અંગે તેના સગીરવયના ભાઇ અને પિતા મનહરભાઇ વિરૂધ્ધ ભરતનગર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.