ઉનાની જુડવડલી સીમમાં ઇનફાઇટમાં દોઢ માસના બાળ સિંહનું મૃત્યુ
ઉના, તા. રપ : તાલુકાના જુડવડલી ગામે ઇનફાઇટમાં દોઢ માસના સિંહ બાળનું મૃત્યુ થતાં વન વિભાગે મૃતદેહનો કબજો લઇ પી.એમ. માટે મોકલી આપેલ છે.
ગીરગઢડા તાલુકાના જુડવડલી ગામની સીમમાં એક સિંહણે થોડા માસ પહેલા ૪ બચ્ચાને જન્મ આપ્યો હતો જેમાં સીમ વિસ્તારમાં વન વિભાગના કર્મચારીને એક સિંહ બાળનો મૃતદેહ નજરે પડેલ હતો અને પ્રાથમિક તપાસમાં ઇનફાઇટમાં મૃત્યુ થયાનો અંદાજ છે. તેમનો દોઢ માસનો મૃતદેહ જશાધાર એનીમલ કેર સેન્ટરમાં પોસ્ટ મોર્ટમ માટે ખસેડાયો છે.
એક સિંહ બાળ પણ બિમાર હોવાની માહિતી મળી છે તે માતા સાથે છે. વન વિભાગના કર્મચારી તેમને વોચ રાખી રહ્યા છે. બીજા બે બચ્ચા તંદુરસ્ત હોવાનું જાણવા મળેલ છે. હાલ જુડવડલી ખાપટ સીમ વિસ્તારમાં ૪ સિંહનું ગ્રુપ વસવાટ કરી રહ્યું છે.