સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 25th April 2019

કચ્છ ભાજપ યુવા મોરચાના ઉપપ્રમુખ અને યુનિવર્સિટીના સેનેટ મેમ્બર ઓમ પ્રકાશ રાજગોર નું હૃદયરોગના હુમલાથી મોત થતાં ઘેરો શોક

વિનોદ ગાલા દ્વારા ભુજ :::કચ્છ ભાજપના યુવા મોરચાના ઉપપ્રમુખ ઓમપ્રકાશ રાજગોરનું આજે અવસાન થતાં ભાજપના યુવા કાર્યકરોમાં ઘેરા શોકનું મોજું ફરી વળ્યું છે. લોકસભાની ચૂંટણી દરમ્યાન પશ્ચિમ કચ્છમાં સક્રિય એવા ભાજપના આ યુવા નેતા ઓમપ્રકાશ રાજગોરને એકાએક હૃદયરોગનો હુમલો આવતા તેમને પહેલા ભુજ અને બાદમાં સારવાર માટે અમદાવાદ લઈ જવાયા હતા. ત્યાં તબીબોના અથાક પ્રયત્નો છતાંયે તેમને બચાવવામાં નિષ્ફળતા મળી હતી અને સારવાર દરમ્યાન તેમનું મોત નીપજ્યું હતું. 

મૂળ પાનધ્રોના ૩૦ વર્ષીય ઓમપ્રકાશ રાજગોર વિદ્યાર્થી કાળથી જ સામાજિક અને રાજકીય ક્ષેત્રે સક્રિય હતા. ABVP અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદમાં તેઓ આગળ પડતા હતા. પ્રદેશ ભાજપના મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા જ્યારે કચ્છમાં ABVP મા કાર્યરત હતા ત્યારથી તેમના સાથીદાર તરીકે જોડાયેલા ઓમપ્રકાશ રાજગોરની હાલમાં જ કચ્છ યુનિવર્સિટીમાં સેનેટ મેમ્બર તરીકે રાજ્ય સરકાર દ્વારા નિયુક્તિ કરાઈ હતી. પાનધ્રો ગામના ઉપસરપંચ રહી ચૂકેલા ઓમપ્રકાશ રાજગોર અત્યારે કચ્છ યુવા ભાજપના ઉપપ્રમુખ હતા. યુવા વયે રાજકીય ક્ષેત્રે સારું કાઠું કાઢનાર ભાજપના યુવા નેતા ઓમપ્રકાશ રાજગોરને શ્રદ્ધાંજલિ અર્પતા સાંસદ વિનોદ ચાવડાએ જણાવ્યું હતું કે, કચ્છ ભાજપે એક યુવા સંનિષ્ઠ કાર્યકર ગુમાવ્યો છે. ભાજપના પ્રદેશ મોરચાના આગેવાન ધવલ.આચાર્ય, કચ્છ યુવા ભાજપના પ્રમુખ રાહુલ ગોર, કચ્છ ભાજપના મીડીયા ઇન્ચાર્જ ઘનશ્યામ રસિકભાઈ ઠકકર, સાત્વિકદાન ગઢવી, કચ્છ યુવા ભાજપના પૂર્વ પ્રમુખ જિગર છેડા, કચ્છ ભાજપના મહામંત્રી અંનિરુદ્ધ દવે સહિતના આગેવાનોએ સ્વર્ગસ્થ ઓમપ્રકાશ રાજગોરના અવસાન પ્રત્યે ઊંડા શોકની લાગણી વ્યક્ત કરી હતી. સેનેટ મેમ્બરના આકસ્મિક નિધન થી કચ્છ યુનિવર્સિટીના અધ્યાપક વર્ગ અને વિદ્યાર્થીઓમાં પણ શોકનું મોજું ફરી વળ્યું છે.

(1:14 pm IST)