જામકંડોરણાના ગુર્જર સુથાર વૃધ્ધનું રાજકોટમાં પુત્રના ઘરે પડી જતાં મોત
રમણિકભાઇ ચંદવાણીયા (ઉ.૬૨) એપાર્ટમેન્ટની ગેલેરીમાંથી ગબડી પડ્યાઃ રાજનગર ચોક પાસે ચંદ્રેશનગરમાં બનાવ
રાજકોટ તા. ૨૫: જામકંડોરણા રહેતાં ગુર્જર સુથાર વૃધ્ધ રમણિકભાઇ કાનજીભાઇ ચંદવાણીયા (ઉ.૬૨) રાજકોટમાં ચંદ્રેશનગર રોડ પર રાજનગર ચોકમાં રહેતાં પોતાના પુત્રના ઘરે આવ્યા હોઇ અહિ એપાર્ટમેન્ટની ગેલેરીમાંથી પડી જતાં મોત નિપજ્યું છે.
જાણવા મળ્યા મુજબ જામકંડોરણા રહેતાં રમણિકભાઇ કેટલાક દિવસથી રાજકોટ ચંદ્રેશનગર રોડ રાજનગર ચોકમાં રહેતાં પુત્ર યશવંતભાઇ ચંદવાણીયાના ઘરે રોકાવા આવ્યા હતાં. અહિ સાંજે તેઓ એપાર્ટમેન્ટના પહેલા માળની ગેલેરીમાં ઉભા હતાં ત્યારે અકસ્માતે પડી જતાં ગંભીર ઇજા થતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત નિપજ્યું હતું.
માલવીયાનગરના પીએસઆઇ જે. એ. ખાચરે જરૂરી કાર્યવાહી કરી હતી. મૃત્યુ પામનાર રમણિકભાઇ નિવૃત જીવન ગાળતાં હતાં. સંતાનમાં બે પુત્રો છે. મૃતદેહને અંતિમવિધી માટે વતન જામકંડોરણા લઇ જવાયો હતો.