ઈશ્વર-અલ્લાહ તેરો નામ સબકો સન્મતી દે ભગવાન : ધોરાજીના યુવા મુસ્લિમ બિરાદરો દ્વારા કબ્રસ્તાનમાં સાફ-સફાઈની સેવા
(કિશોર રાઠોડ દ્વારા) ધોરાજી :- કહેવાય છે કે દરેક ધર્મો ની ઉપર માનવતાનો ધર્મ સૌથી મૂલ્યવાન છે ત્યારે ધોરાજીના સામાન્ય મજૂરી કરનારા ત્રણ મુસ્લિમ યુવાનો દ્વારા ધોરાજી તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં કબ્રસ્તાનની સફાઈ કરી કોઈપણ આશા અપેક્ષા વિના મુક રીતે પોતાની સેવા આપી રહ્યા છે.
ધોરાજીના મેળાના મેદાન પાસે રહેતા કરીમ શા ફકીર સરફરાજ અહેમદ અને અહેમદ ઇમરાન ફકીર નામના ત્રણ યુવાનો કચરો એકઠો કરી પોતાનું ઘર ગુજરાન ચલાવે છે જેની સાથે સાથ માનવતાનો ધર્મ પણ બખૂબી નિભાવી રહ્યા છે
આ ત્રણેય યુવાનો દ્વારા ધોરાજીના રસુલ પરા પાસેના કબ્રસ્તાન તેમજબાદલાશા બાવા પાસેનું કબ્રસ્તાન, ધોરાજી રામ પરા પાસેનું દલિત સમાજનું મુક્તિધામ અને પાનેલી ગામના કબ્રસ્તાનમાં વખતોવખત જઈ ત્યાંની સાફ સફાઈ કરે છે. સાથે પોતાનું વાહન લઈ જઈ પોતાના સ્વખર્ચે પોતાની જાત મહેનત થી સેવા બજાવે છે.
આ યુવાનો કોઈ પ્રસિદ્ધિ કે અપેક્ષાની ખેવના વિના માનવધર્મ બજાવી સાંપ્રત સમયમાં ધર્મ થી વિશેષ માનવતાનો સંદેશ આપી રહ્યા છે.