અમરેલીના રાજુલા પંથકમાંથી સિંહણનો મૃતદેહ મળ્યો : જંગલ ખાતાની બેદરકારીનું તારણ
અમરેલીના રાજુલાના ડુંગર અને વિક્ટર રોડ પર કુંભાણિયા ફાટક પાસે સિંહણનો મૃતદેહ મળ્યો છે. સિંહણના બિનવારસી મૃતદેહને લઈને જંગલ ખાતાની ઘોર બેદરકારી સામે આવી છે. સિંહણના મોતનું કારણ હજુ જાણી શકાયુ નથી.
એક તરફ સિંહના સંરક્ષણ માટે લાખ્ખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે. સિંહોની સુરક્ષા માટે જંગલખાતાની આખી ફૌજ કામે લગાડવામાં આવી છે. છતાં એક સિંહણનું મોત થાય અને તેનો મૃતદેહ કોહવાય જાય ત્યાં સુધી કોઇને ખ્યાલ ન આવે તે બાબત શરમજનક છે. સિંહો ઉ૫ર નજર રાખવા માટે વનવિભાગની આંતરિક સિસ્ટમ ગોઠવાયેલી હોય છે. છતાં સિંહણના મોત અંગે કોઇને ખ્યાલ સુદ્ધા આવ્યો નથી. જો કે હાલ તો તપાસના નામે ડીંડક શરૂ થયું છે. ૫રંતુ સિંહણના મોતનું સાચુ કારણ બહાર આવશે કે કેમ ? તેને લઇને સવાલો ખડા થયા છે.