મોરબીની રહેણાંક સોસાયટીમાં બનતા મોલનું બાંધકામ અટકાવો
વ્રજ વાટીકા સોસાયટીની શાંતિ હણાઇ જવાની દહેશત
(પ્રવિણ વ્યાસ દ્વારા)મોરબી,તા. ૨૫: મોરબીના રવાપર રોડ ઉપર મોરબી સર્વે નંબર ૯૯૯ પૈકીની જમીન ઉપર આવેલી અને પોશ ગણાતી વ્રજ વાટીકા સોસાયટી ફકત રહેણાંકના હેતુ માટે બિનખેતી કરવામાં આવેલ છે. જેમાં કુલ ૪૧ પ્લોટ ફાળવવામાં આવેલ છે.જેમાં પ્લોટ નંબર ૧, ૨, ૩,ના માલિક તેમજ વહીવટદાર દ્વારા હાલમાં બાંધકામ શરૂ કરવામાં આવેલ છે અને અહીં રહેણાંક હેતુ માટે સોસાયટી બિનખેતી થઇ હોવા છતાં શોપિંગ મોલ બનાવતા હોવાની જાણ સોસાયટીના દરેક મેમ્બરો મિટિંગ યોજી કોમર્શિયલ બિલ્ડીંગનો વિરોધ કરવા છતાં પ્લોટ માલિક દ્વારા અહીં કોમર્શિયલ શોપિંગ મોલ બનશે અને આ બાંધકામને કોઇ રોકી નહીં શકે તેવી ધમકી સોસાયટીના સભ્યોને આપી હતી.
બીજી તરફ પ્લોટ માલિકની ધમકીને પગલે સોસાયટીના સભ્યો દ્વારા જિલ્લા કલેકટર અને પાલિકાના ચીફ ઓફિસરને રજુઆત કરી રહેણાંક હેતુ માટે બિનખેતી થયેલ સોસાયટીમાં જો ભવિષ્યમાં શોપિંગ મોલ બનશે તો સોસાયટી રહેવાને લાયક નહીં રહે, અનેક પ્રકારના સારા-નરસા માણસોની અવરજવર થવાથી સોસાયટી ખાલી કરવાનો વારો આવશે તેવી દહેશત વ્યકત કરી કોમર્શિયલ શોપિંગ મોલનું ગેરકાયદે બાંધકામ તાત્કાલિક અસરથી અટકાવવા માંગ ઉઠાવી હતી.