ગાંધીધામમાં મહાકાય ટ્રક રિક્ષા ઉપર ચડી જતાં મહિલાનું મોત : ચાલક ઇજાગ્રસ્ત
હોસ્પિટલમાં સારવાર માટે જતાં મહિલાને રસ્તા વચ્ચે જ કાળ આંબી ગયો
(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૨૫ : ગાંધીધામમાં કાર્ગો રોડ ઉપર છકડો રિક્ષા ઉપર મહાકાય ટ્રક ચડી જતાં સર્જાયેલા માર્ગ અકસ્માતમાં ૬૨ વર્ષીય મહિલા ગંગાબેન કરસન શ્રીમાળીનું અરેરાટીભર્યું મોત નિપજયું હતું.
જયારે રિક્ષા ચાલક અનવર અમન ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. મહાકાય ટ્રકે પેસેન્જર રિક્ષાને ટક્કર માર્યા બાદ તેના બે પૈડાં રિક્ષા ઉપર ફરી વળતાં પ્રવાસી મહિલા અને રિક્ષા ચાલક બન્ને ટ્રક હેઠળ દબાઈ ગયા હતા. અકસ્માત સ્થળે લોકોના ટોળા ભેગા થઈ ગયા હતા. જોકે, પોલીસ દોડી આવતા ઉશ્કેરાયેલા ટોળાને કાબુમાં લીધું હતું.
મૃતક મહિલા ગંગાબેન બીમાર હોઈ સારવાર માટે સરકારી રામબાગ હોસ્પિટલમાં જવા માટે રિક્ષામાં બેઠા હતાં પણ તેમને રસ્તામાં જ કાળ આંબી ગયો હતો. ઇજાગ્રસ્ત રિક્ષા ચાલકને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયો છે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.