જસદણની જાહેરસભામાં ડો. બોઘરાએ ગૃહમંત્રી અમિતભાઇ શાહને કાનમાં શું કહ્યું ?
(ધર્મેશ કલ્યાણી દ્વારા) જસદણ તા. ૨૪: જસદણમાં ગઈકાલે દેશના ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહની ભાજપના ઉમેદવાર કુંવરજીભાઈ બાવળિયાના સમર્થનમાં જાહેર સભા યોજાઇ હતી. આ સભામાં મંચ ઉપર ગૃહ મંત્રી અમિતભાઇ શાહ બેઠા હતા તેની બાજુમાં જ ગુજરાત પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ ડો. ભરતભાઈ બોઘરા પણ બેઠા હતા. સભા દરમિયાન અલગ અલગ સમયે બે વખત અમિતભાઇ શાહનેᅠ ડો. ભરતભાઈ બોઘરાએ કાનમાં કંઈક કહ્યું હતું. ડો. બોઘરાએ મંચ ઉપર અમિતભાઇ શાહને કાનમાં શું કહ્યું ? તેની જસદણ ભાજપના કાર્યક્રમમાં ચર્ચા જાગી છે. ડો. બોઘરા તેમની બાજુમાં જ બેઠેલા અમિતભાઈ શાહને કાનમાં કહી રહ્યા હતા ત્યારે અમિતભાઇ શાહ પણ આ બાબત ગંભીરતાથી સાંભળી રહ્યા હતા. ડો.
બોઘરાએ જસદણ બેઠકની સાચી વાસ્તવિક સ્થિતિ વિશે ચર્ચા કરી ? પોતાની કામગીરી અંગે ચર્ચા કરી ? સૌરાષ્ટ્રમાં ભાજપની સ્થિતિ અંગે ચર્ચા કરી ? રાજકોટની બેઠક અંગે ચર્ચા કરી ? કે પછી અન્ય કોઈ વિશેષ રાજકીય ચર્ચા કરી ? તે બાબત ચર્ચાનો વિષય બન્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે ડો. ભરતભાઈ બોઘરા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને ગૃહમંત્રી અમિતભાઇ શાહની ગુડ બુકમાં છે અને તેમની સાથે ખૂબ જ અંગત સંબંધો ધરાવે છે.