કોડીનારનાં ઘાંટવાડના લાયન શો પ્રકરણમાં વન વિભાગ ખેડૂતોની હેરાનગતિ બંધ ન કરે તો સામુહિક આત્મવિલોપનની ચિમકી
(અશોક પાઠક દ્વારા)કોડીનાર,તા.૨૪ : કોડીનાર તાલુકા ના ઘાંટવડ ગામે સિંહે ગાયનું મારણ કરતા અને આ અંગે નો વિડીયો સોશીયલ મીડીયા માં વાયરલ થતાં વન વિભાગે આ અંગે ગેરકાયદેસર લાયન શો નો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી પાંચ શખ્સોની ધરપકડ કરી હતી.આ ઘટના બાદ આજે ઘાંટવડ ગ્રામ પંચાયત અને જામવાળા-પીંછવી-સાંઠણીદાર-વલાદર અને નગડલાના ગ્રામજનોએ આજે કોડીનાર મામલતદાર દ્વારા મુખ્યમંત્રીને સંબોધીને પાઠવેલા આવેદનપત્રમાં જણાવ્યા મુજબ વન વિભાગ દ્વારા સિંહના વાસ્તવિક હુમલાને લાયન શો માં ખપાવી ખોટો કેસ કરી ગામ ના નિર્દોષ લોકોને ફસાવી હેરાન કરવામાં આવી રહ્યા છે,ગામ માં કોઈ લાયન શો ની દ્યટના બની નથી, પણ જયારે ઘાંટવડ ગામે સિંહે ગાય ઉપર હુમલો કરી મારણ કરતા આ સમયે આજુબાજુના ખેડૂતો અને રાહદારીઓ મજૂરો સિંહ ની મિજબાની નિહાળવા ઉભા રહી વિડીયો ઉતાર્યો હોવાનું જણાવી આ બનાવ અંગે ઘાંટવડના માજી સરપંચ વાલજીભાઈ તેમના મોબાઈલ દ્વારા વન વિભાગના અધિકારીઓને જુદા જુદા સમયે જાણ કરી હોવા છતાં વન વિભાગે મીડિયા ટ્રાયલના દબાણમાં આવી ખોટો કેસ કર્યો હોવાનો આક્ષેપ કરી વન વિભાગે ફકત કામગીરી દેખાડવા માટે મનઘડત સ્ટોરી ઉભી કરી ખોટો લાયન શો નો કેસ બનાવી નિર્દોષોને ખોટી રીતે સંડોવી દઇ તેઓ સામે કોઈ કેસ બનતો ન હોવા છતાં ખેડૂતોને ખોટી રીતે હેરાન કરવામાં આવી હોય આ કથિત લાયન શો પ્રકરણમાં યોગ્ય અને તટસ્થ તપાસ કરી ન્યાય અપાવી હેરાનગતી બંધ કરાવવા માંગ કરી જો આ કેસમાં સત્ય અને યોગ્ય તપાસ કરવામા નહિ આવે અને ખોટી કામગીરી બંધ કરવામાં નહિ આવે તો આ ૬ ગામના લોકો એ ગાંધી ચિધ્યા માર્ગે આંદોલન કરી જરૂર પડ્યે સામુહિક આત્મવિલોપન કરવાની ચીમકી ઉચ્ચારી છે.