માટેલ યાત્રાધામનો રોડ ૧૫ દિવસમાં રીપેર કરાય નહીં તો આંદોલનની ચીમકી
મોરબી, તા.૨૪: મોરબી જીલ્લામાં આવેલ પ્રસિદ્ઘ યાત્રાધામ માટેલ જવાનો રોડ બિસ્માર હાલતમાં હોય જે રોડ પર અનેક ફેકટરીઓ ધમધમતી હોય જેથી તૂટેલા રોડને રીપેર કરવા ઢુવા ગ્રામ પંચયાત અને ઉદ્યોગપતિઓ દ્વારા રજૂઆત કરવામાં આવી છે અને ૧૫ દિવસમાં રોડ રીપેર ના કરાય તો આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.
ઢુવા ગ્રામ પંચાયત, માટેલ ખોડીયાર મંદિર અને ઉદ્યોગપતિઓ દ્વારા આજે જીલ્લા કલેકટરને રજૂઆત કરવામાં આવી હતી જેમાં જણાવ્યું છે કે માટેલ રોડ દ્યણા સમયથી બિસ્માર હાલતમાં છે જે રોડ સાવ તૂટી ગયો હોવાથી અનેક અકસ્માતો થાય છે તો પ્રસિદ્ઘ યાત્રાધામ માટેલ પણ યાત્રાળુઓ ચાલીને જતા હોય છે જેને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે અગાઉ પણ અનેક રજૂઆત કરી છતાં કોઈ નિવેડો આવ્યો નથી જેથી કલેકટરને આવેદન પાઠવીને રોડનું જાત નિરીક્ષણ કરવા વિનંતી કરી છે અને તૂટેલા રોડના રીપેરીંગ માટે તંત્રને ૧૫ દિવસનું અલ્ટીમેટમ આપ્યું છે ત્યારબાદ આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
માટેલ રોડનો પ્રશ્ન છેલ્લા ૨ વર્ષ જેટલા સમયથી છે અને એકાદ વર્ષ પૂર્વે ઉદ્યોગપતિઓએ ચકકાજામ કર્યો હતો અનેક રજુઆતો છતાં રોડનું કામ થયું નથી. ત્યારે હવે તંત્ર સજાગ નહીં થાય તો આંદોલનની ચીમકી અપાઇ છે.(૨૨.૭)