ગુજરાતના તમામ વકીલોના હિતમાં "એડવોકેટ વેલ્ફેર બિલ" વિધાનસભામાં પાસ કરો : "ટિમ ગબ્બર"ની વકીલોના હિતમાં સબળ રજુઆત
(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર : ટિમ ગબ્બર ગુજરાત નામની સંસ્થા સમગ્ર ગુજરાતમાં કાર્ય કરતી સંસ્થા છે. ટિમ ગબ્બરની સંસ્થામાં જુદા જુદા શહેરના વકીલોનો સમાવેશ થાય છે.ટિમ ગબ્બર ગુજરાતના કાંતિ.એચ.ગજેરા એડવોકેટ-સુરત તથા વિસાવદરના એડવોકેટ નયનભાઈ જોશીએ રાજ્યપાલ,વડાપ્રધાન,
મુખ્યમંત્રી,કાયદા મંત્રી, કાયદાસચિવ,ગુજરાત વિગેરેને લેખીત રજુઆત કરી જણાવેલ છે કે, બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં એક લાખથી વધુ વકીલો નોંધાયેલ છે અને તેઓને કોઈપણ પ્રકારની સરકાર દ્વારા સહાય આપવામાં આવતી નથી. અમુક વકીલોની વકીલાતની પ્રેક્ટિસ પણ સારી ચાલતી ન હોય એડવોકેટ તરીકે નોંધાયા બાદ બીજો કોઈ ધંધો રોજગાર કરી શકાતો ન હોય ત્યારે ગુજરાતના વકીલોની હાલત કફોડી બની અને ખરાબ થઈ રહી છે અને દેશના વડાપ્રધાન ગુજરાતના હોય દેશમાં અને રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર હોય ત્યારે મોસાળે લગ્ન હોય અને માં પીરસનાર હોય ત્યારે બાળક ભૂખ્યું ન રહે તેમ ગુજરાતના વકીલો પણ આ સંવેદનશીલ સરકાર પાસે કાંઈક અપેક્ષા રાખીને બેસેલ છે તાજેતરમાં રાજસ્થાન સરકાર દ્વારા એડવોકેટ વેલ્ફેર બિલ મંજુર કરી વકીલાત કરતા એડવોકેટ સેવા નિવૃત થાય ત્યારે પંદર લાખ તથા કોઈ વકીલનું મૃત્યુ થાય તો આઠ લાખ રૂપિયા ચૂકવવાનું બિલ વિધાનસભામાં પાસ કરેલ છે.રાજસ્થાન સરકારની જેમ ગુજરાતના વકીલો માટે પણ એડવોકેટ વેલ્ફેર બિલ તાત્કાલિક તૈયાર કરી તેને વિધાનસભામાં મૂકી મંજુર કરવું જોઈએ.તમામ વર્ગના લોકોને પેનશન પણ મળે છે ત્યારે ગુજરાતના લાખો વકીલો તથા તેમના પરિવારના હિતમાં એડવોકેટ વેલ્ફેર બિલ તાત્કાલીક મંજુર કરી વકીલોને હિતમા ત્વરિત નિર્ણય લેવા માંગણી કરાઇ છે.