ગાંધીધામ નજીક અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલ ૨ ના મૃત્યુ થતાં મોરબીના પરિવારના ૪ સભ્યોના મોત: માતાના મઢથી છકડામાં પરત ફરતા હતા
મૃતક દેવીપૂજક પરિવાર મોરબીમાં શાકભાજીના ધંધાર્થી, સાઢુભાઈની રિક્ષામાં પરત ફરતા હતા
(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨૪ : માતાના મઢ દર્શને ગયેલા મોરબીના દેવીપૂજક પરિવારને નડેલા માર્ગ અકસ્માતમાં મૃત્યુ આંક વધીને ચાર થયો છે. ઈજાગ્રસ્તો પૈકી બે ના મોત થયા હતા, જ્યારે બે બાળકોએ અકસ્માત સ્થળે જ જીવ ગુમાવ્યો હતો. મોરબીમાં શાકભાજીના ધંધાર્થી દેવીપૂજક પરિવાર ના છકડાને ગાંધીધામ પડાણા પાસે ટ્રકે હડફેટે લેતાં ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. જેમાં ઘટના સ્થળે ૮ વર્ષીય આનંદ પપ્પુ પંસારા અને ૬ વર્ષીય જયદીપ રસિક કુંઢીયાનું મોત નીપજ્યું હતું. જ્યારે ઈજાગ્રસ્તો પૈકી ૬૦ વર્ષીય કાનજીભાઈ ગાંગજી પંચાસી અને ૨૮ વર્ષીય રસિક કેશુભાઈ કુંઢીયા નું મોત નીપજ્યું હતું. આ અકસ્માતમાં અન્ય ૭ જણાને ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્તોના નામ પપ્પુ ભરત પંસારા, મીનાબેન પપ્પુ પંસારા, રસીલાબેન રસિક કુંઢીયા, સવિતાબેન કાનજી સોલંકી, બરખુ પપ્પુ પંસારા, જાગૃતિબેન મુકેશ સોલંકી, રણજીત રસિક કુંઢીયા છે. વાહન ચાલક વિરૂધ્ધ સવજી નટુભાઈ પંસારા એ ફરિયાદ નોધાવી છે.