સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 24th September 2021

માણાવદરના પાદરડીની પરિણીતા ઉપર બળાત્કાર

મહિલા જાગરણ કરવા ગઇ'તી અને નરાધમે દુષ્કર્મ આચર્યુ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા.ર૪ : માણાવદરનાં પાદરડીની પરિણીત મહિલા પર તેના જ ગામના શખ્સે બળાત્કાર ગુજારી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ મહિલાએ કરતા બાંટવા પોલીસે તપાસ હાથ ધરી છે.

આ અંગેની વિગતો એવી છે કે કેશોદ તાલુકાનાં બાલાગામ (ઘેડ) ખાતે પરણેલી અને હાલ માણાવદરના બાંટવા પાસેનાં પાદરડી ગામે પિયરમાં રહેતી એક ૩૦ વર્ષીય પરિણીતા ગત તા.૧૭-૯ના રોજ ભાદરવી અગિયારસનું જાગરણ કરવા તેની બે બહેનપણી સાથે પાદરડીનાં દિલીપભાઇ દરજીનાં ઘરે ગઇ હતી.

રાત્રીના મોડુ થઇ જતાં અને મહિલાનાં બે બાળકો ઘરે એકલા હોય તેણીએ ઘરે જવું તેમ કહેતા દિલીપ દરજીના ઘરેથી માલદે મોહન સગારકા નામનો શખ્સ મહિલાને તેના ઘરે મુકવા ગયો હતો.

પરંતુ માલદે મહિલાને સીમનાં રસ્તે લઇ જઇ ત્યાં રાત્રીના ૧ર વાગ્યાના અંધારામાં મહિલા પર માલદે મોહન મહિલા પર દુષ્કર્મ આચરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

બાદમાં પોતાના માતા-પિતાના ઘરે પહોંચેલી પરિણીતા હેબતાઇ ગઇ હતી અને તેણીએ નણંદને આપવીતી જણાવતા તેમણે ફરિયાદ કરવા હિંમત આપી હતી.

ગત રાત્રે ભોગ બનનાર પરિણીત મહિલાએ ફરિયાદ નોંધાવતા બાંટવાના પી.એસ.આઇ. પી.એસ.ઝાલાએ માલદે સગારકા સામે કલમ ૩૭૬, ૩પ૪ (ક) અને પ૦૬ (ર) મુજબ કાર્યવાહી કરી આગળની તપાસ હાથ ધરી છે. 

(1:41 pm IST)