ઉપલેટામાં ભંગારના ડેલામાં વિસ્ફોટઃ પિતા-પુત્રના મોત
ગેસનો બાટલો ફાટયો કે અન્ય કોઇ કારણ? તે અંગે પોલીસ તપાસનો ધમધમાટઃ મુસ્લીમ પરિવારમાં ઘેરો શોક
તસ્વીરમાં ભંગારના ડેલામાં વિસ્ફોટમાં પિતા-પુત્રના મૃતદેહ તથા ઘટના સ્થળે લોકોના ટોળા નજરે પડે છે. (તસ્વીરઃ નિમેશ ચોટાઇ-ઉપલેટા)
વિસ્ફોટની જાણ થતા ધારાસભ્ય લલીતભાઇ વસોયા સહીતના ઘટના સ્થળે દોડી ગયા હતા. જે તસ્વીરમાં નજરે પડે છે.
(કૃષ્ણકાંત ચોટાઇ દ્વારા) ઉપલેટા, તા., ૨૪: ઉપલેટામાં આજે સવારે ભંગારના ડેલામાં વિસ્ફોટ થતા પિતા-પુત્રના મોત થતા અરેરાટી વ્યાપી ગઇ છે.
પ્રાપ્ત માહીતી મુજબ ઉપલેટામાં જુની પુરોહીત લોજ પાસે આવેલ ભંગારના ડેલામાં પિતા-પુત્ર સહીત કારીગરો કામગીરી કરી રહયા હતા. ત્યારે અચાનક વિસ્ફોટ થતા પિતા રજાકભાઇ અલીભાઇ કાણા તથા પુત્ર રહીશ રજાકભાઇ કાણાનું ઘટના સ્થળે જ મોત થયું હતું.
જયારે ભંગારના ડેલામાં રહેલા અન્ય ૩ વ્યકિતઓ દુર કામ કરી રહયા હોવાથી તેમનો બચાવ થયો હતો. એક સાથે પિતા-પુત્રના મોત થતા મુસ્લીમ સમાજમાં અરેરાટી વ્યાપી ગઇ છે.
ભંગારના ડેલાના ગેસના બાટલાથી ભંગારનું કટીંગ કામ કટરથી કરવામાં આવી રહયુ હતું ત્યારે અથવા તો ભંગારમાં રહેલ કોઇ વિસ્ફોટક વસ્તુથી વિસ્ફોટ થયો હોવાનું પણ ચર્ચાઇ રહયું છે.
આ બનાવની જાણ થતા ઉપલેટા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. ડીવાયએસપી સહીતની ટીમ ઘટના સ્થળે આવીને તપાસ હાથ ધરી છે.