જૂનાગઢ, સલાયા, ખંભાળિયા, માળિયા મીંયાણા, રાજુલા, છાયામાં તા. ૨૨ ઓકટોબરે પેટાચૂંટણી
કોર્પોરેશનની ૩ અને નગરપાલિકાઓની ૧૭ બેઠકો માટે કાર્યક્રમ જાહેર
રાજકોટ, તા. ૨૪ :. રાજ્ય ચૂંટણી પંચે નગરપાલિકાઓની ૧૭ અને મહાનગરપાલિકાઓની ૩ બેઠકો માટે પેટાચૂંટણી જાહેર કરી છે. પંચના સચિવ શ્રી મહેશ જોશીની સહીથી જાહેર થયેલ કાર્યક્રમ મુજબ ૩૦ સપ્ટેમ્બરે પેટાચૂંટણીનું જાહેરનામુ પ્રસિદ્ધ થશે. તે દિવસથી ૫ ઓકટોબર સુધી ફોર્મ ભરી શકાશે. તા. ૭મીએ ફોર્મ ચકાસણી થશે. તા. ૯મીએ ફોર્મ પાછા ખેંચવાનો છેલ્લો દિવસ છે.
મતદાન તા. ૨૨મીએ મંગળવારે સવારે ૮ થી ૫ વાગ્યા સુધી થશે. મત ગણતરી ૨૪ ઓકટોબરે થશે. ખેડા જિલ્લાના કપડવંજમાં નગરપાલિકાની ૧૦ બેઠકો માટે પેટાચૂંટણી જાહેર થઈ છે. છોટાઉદેપુરની ૧ બેઠક તેમજ અમદાવાદ અને વડોદરા કોર્પોરેશનની એક એક બેઠક માટે ચૂંટણી યોજાશે. સૌરાષ્ટ્રને લાગુ પડતી પેટાચૂંટણીની માહિતી નીચે મુજબ છે.
જૂનાગઢમાં વોર્ડ નં. ૩ની સામાન્ય બેઠક માટે ચૂંટણી યોજાશે. માળિયામીંયાણામાં વોર્ડ નં. ૨ની પછાતવર્ગ સ્ત્રી અનામત બેઠક તેમજ રાજુલાની વોર્ડ નં. ૭ની સામાન્ય બેઠક માટે ચૂંટણી થશે. સલાયાના વોર્ડ નં. ૧ની સામાન્ય સ્ત્રીની બન્ને બેઠકો પર પેટાચૂંટણી થશે. ખંભાળિયામાં વોર્ડ નં. ૬ની અનુસૂચિત જાતિની ૧ બેઠકની પેટાચૂંટણીનો કાર્યક્રમ જાહેર થયેલ છે. પોરબંદરની છાયા નગરપાલિકાના વોર્ડ નં. ૬ની આદિજાતિ અનામત બેઠક પર ચૂંટણી થશે.