વિછિયા:ફાયરિંગ મુદ્દે સરકારને રજૂઆત કરીશું : ન્યાય માટે જરૂર પડ્યે સત્તા છોડી દઈશું :કુંવરજીભાઇનો ધ્રુજારો
વિછિયામાં રાજકીય નેતાઓના સંમેલનમાં ભાજપ -કોંગી નેતાઓ એક મંચ પર જોવાયા
વિછિયા ;તાજેતરમાં જૂની અદાવતમાં વીંછિયામાં ઓફસેટના વેપારી પર અજાણ્યા શખ્સોએ ફાયરિંગ કરતા વેપારી ઇજાગ્રસ્ત થતા તેને હોસ્પિટલ ખસેડાયો હતો. વેપારી પર થયેલા ફાયરિંગ મામલે વીંછિયાના નવા બસસ્ટેન્ડમાં રાજકીય નેતાઓનું સંમેલન યોજાયું હતું. જેમાં કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાએ કહ્યું હતું કે ફાયરિંગ મામલે સરકારને રજૂઆત કરીશું અને જો ન્યાય માટે સત્તા છોડવાની જરૂર પડશે તો તે પણ છોડી દઇશું.
ફાયરિંગ મામલે યોજાયેલા સંમેલનમાં ભાજપ-કોંગ્રેસના નેતાઓ એક મંચ પર જોવાયા હતા સંમેલનમાં કેબિનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળિયા, પૂર્વ સંસદીય સચિવ શામજી ચૌહાણ, કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ભોળાભાઈ ગોહેલ, ભાજપના પૂર્વ ધારાસભ્ય ભરતભાઇ બોઘરા, પૂર્વ ધારાસભ્ય લાલજીભાઈ મેર સહિતના મોટી સંખ્યામાં આગેવાનો અને લોકો હાજર રહ્યા હતા. તેમજ મોટી સંખ્યામાં એકત્રિત કોળી સમાજ દ્વારા મામલતદારને રેલી સ્વરૂપે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.