કોરોના કારણે અવસાન પામેલ ગીર સોમનાથ પોલીસ વિભાગના કર્મચારીના આશ્રિતોને રપ લાખની સહાય
વેરાવળ તા.ર૪ : કોરોનાની બંને લહેરોમાં ગીર સોમનાથ જિલ્લામાં નાગરીકોની સુરક્ષા માટે નિરંતર કાર્યશીલ અને સતત સેવામગ્ન રહેનાર પોલીસ વિભાગની લોકડાઉન દરમિયાન અને કોરોનાની બીજી લહેર વખતે ઉત્કૃષ્ટ કામગીરી રહેલ છે. પરંતુ પોતાની ફરજ બજાવતી વખતે કોરોના વાયરસથી સંક્રમિત થતા ગીર સોમનાથ જિલ્લા હેડ કવાટર ખાતે ફરજ બજાવતા એ.એસ.આઇ. હરેશભાઇ હીરાલાલ વાઢીયાનાઓનું દુઃખદ અવસાન થયેલ હતુ.
આ પોલીસ કર્મચારીનાઓના આશ્રિતોને સરકારશ્રી દ્વારા જાહેર કરેલ રૂ.રપ લાખની સહાય અંગેની દરખાસત પોલીસ અધિક્ષકશ્રી રાહુલ ત્રિપાઠી દ્વારા મોકલવામાં આવતા સરકારશ્રી દ્વારા ઉકત દરખાસ્તો સમયસર મંજુર કરવામાં આવેલ અને પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રી ગુ.રા. ગાંધીનગરનાઓની કચેરી દ્વારા ઉકત મર્હુમ કર્મચારીના આશ્રિતોને ચુકવવાના સહાયના ચેક પોલીસ અધિક્ષક ગીર સોમનાથને મોકલી સન્માન પુર્વક તેમના આશ્રિતને ચુકવવા જણાવવામાં આવેલ. જેથી જીલ્લા પોલીસ ભવન, ગીર સોમનાથ (ઇણાજ) ખાતે મર્હુમ પોલીસ કર્મચારીને આશ્રિતને રૂ.રપ લાખની સહાયનો ચેક જીલ્લા પોલીસ વડાશ્રી રાહુલ ત્રિપાઠી હસ્તે અર્પણ કરવામાં આવેલ.