કચ્છના અબડાસા તાલુકાના હિંગરિયા અને નરેડી વચ્ચે રાષ્ટ્રીય પક્ષી મોરશનો શિકાર કરાતા અરેરાટી
અબડાસાઃ અબડાસા તાલુકાના હિંગરિયા અને નરેડી વચ્ચે ભારતના રાષ્ટ્રીય પક્ષી મોરીની હત્યા થતા કચ્છના પક્ષીવિદ્અને રાષ્ટ્રપ્રેમી લોકોમાં રોષની લાગણી ફેલાઇ છે. બીજી બાજુ તંત્ર અને રાજકારણ ચૂંટણીમાં વ્યસ્ત છે.
અગાઉ રાપર તાલુકામાં થયેલ મોરની હત્યાથી એક તબક્કે એમ લાગતુ હતું કે હવે વન વિભાગ અને તંત્રની કડક કામગીરીથી ફરી શિકારીઓ મોરની હત્યા કરવા વિશે સ્વપ્નમાં પણ નહીં વિચારે પણ એ ધારણા ખોટી પડી અને હિંગરિયા અને નરેડી વચ્ચે મોરની હત્યા કરી શિકારીઓ તંત્રને જાણે પડકાર ફેંક્યો કે થાય તે કરી લે.
અતિ આધારભૂત અને વન વિભાગના સંબંધિત સૂત્રો દ્વારા જાણવા મળતી વિગતો અનુસાર અબડાસામાં અગાઉ પકડાયેલ શિકારીઓ અને તેની ગાડીઓને છોડાવવા રાજકારણીઓના ફોન પણ વન વિભાગને થયા હતા.
આ અતિ દુઃખદ અને ગંભીર બાબત છે કે કચ્છના રાજકારણીઓ શિકારીઓને છોડાવવા તંત્ર ઉપર દબાણ કરે. જો કે વનવિભાગ એની કાર્યવાહી કરીને ગાડી ડિટેઇન કરવા સહિતની કાર્યવાહી કરી છે એવી વિગતો મળી છે પણ જો રાજકીય લોકો અપરાધીને બચાવવા મેદાનમાં આવે તો એ લોકશાહીનું ખૂન છે.
હાલ ફરી એકવાર આપણા રાષ્ટ્રીય પક્ષી મોરની હત્યા અબડાસા તાલુકાના હિંગરિયા વિસ્તારમાં થઇ છે ત્યારે તંત્ર અને રાજકારણની ભૂમિકા કેવી રહે તેની ઉપર કચ્છના લોકોની મીટ મંડાઇ છે.