કચ્છના વોટરશેડના ૬૫ કર્મચારીઓને એકાએક છુટા કરાતા નારાજગી- ખાનગી એજન્સીને ફાયદો કરાવવાનો આક્ષેપ
(ભુજ) રાજ્ય સરકાર દ્વારા વોટરશેડનું કામ કરતા ૬૫ જેટલા હંગામી કર્મચારીઓને એકાએક છુટા કરાતાં કર્મચારી વર્ગમાં નારાજગી ફેલાઈ છે. આજે આ ઓર્ડર મળ્યા બાદ વોટરશેડ વિભાગમાં ફરજ બજાવતા આ કર્મચારીઓ એકઠા થયા હતા અને સરકારના આ નિર્ણયનો વિરોધ કર્યો હતો. કચ્છમાં ગ્રામ વિકાસ એજન્સીની સાથે જ આવેલી વોટરશેડની કામગીરી કરતી આ કચેરીના છુટા કરાયેલા કર્મચારીઓએ સાથે મળીને કકેકટર રેમ્યા મોહન અને જિલ્લા વિકાસ અધિકારી પ્રભવ જોશીને આવેદન પત્ર આપીને ફરી સરકાર દ્વારા તેમને પુનઃ કામ પર લેવાય તેવી માંગ કરી હતી. કર્મચારીઓ વતી ભાવિક કેડીયાએ અકિલા સાથે વાત કરતા જણાવ્યું હતું કે ઘણા બધા કર્મચારીઓ વર્ષોથી કામ કરે છે, એ સરકારે ધ્યાને લેવું જોઈએ. જોકે, રાજ્યના તમામ જિલ્લાઓમાં વોટરશેડના ૧૦૪૯ જેટલા હંગામી કર્મચારીઓને છુટા કરાયા છે. આ હંગામી કર્મચારીઓમાં થતી ચર્ચા મુજબ સરકાર વોટરશેડ વિભાગનું કામ આઉટસોરસીંગ એજન્સીને આપવા માંગતી હોઈ વર્ષો જુના હંગામી કર્મચારીઓને છુટા કરી દેવાયા છે.