પ્રભાસ પાટણના શાંતિનગરના રહિશો ર૦-ર૦ દિ'થી બાનમાં:રસ્તાઓ ખોદયા પછી તંત્ર ડોકાયું નથી...!!
લોકો ચાલીને જવા પણ અસમર્થઃ વાહન ચાલકો પણ રસ્તા પરથી નિકળી શકતા નથી
પ્રભાસ પાટણ તા. ર૪ :.. પ્રભાસમાં આવેલ શાંતિનગર સોસાયટીમાં ર૦ દિવસ પહેલા રસ્તા બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવેલ છે. પરંતુ આ સોસાયટીના અવર-જવરનાં મુખ્ય રસ્તાઓ ખોદી નાખવામાં આવેલ છે અને રસ્તા ખોદી નાખ્યા બાદ કામગીરી સોવ બંધ કરી દેવામાં આવેલ છે જેથી આ સોસાયટીમાં રહેતા લોકોને અવર-જવરમાં મુશ્કેલી પડે છે અને વાહનો પણ નિકળી શકતા નથી.
થોડા સમય પહેલા જયારે વરસાદ વરસેલ ત્યારે આ ખોદાયેલા રસ્તાઓ પાણીથી ભરાય ગયા હતા અને લોકોનાં ઘરો સુધી પાણી ભરાયેલ હતું જો ફરીથી વરસાદ શરૂ થશે તો આ સોસાયટીનાં લોકોને અવર-જવરનો સંપૂર્ણ રસ્તો બંધ થશે.
વેરાવળ-પાટણ સંયુકત નગરપાલિકાનાં સત્તાધીસોની ખૂબ જ નબળી અને લાપર વાહીને કારણે નાના અને મજૂર વર્ગનાં લોકો હેરાન થઇ રહેલ છે. અને ર૦ દિવસ થી લોકો હેરાન થઇ રહેલ છે. પરંતુ જવાબદાર લોકોનાં પેટમાં પાણી પણ હલતું નથી તો આ શાંતિનગર સોસાયટીનાં લોકોની માંગણી છે કે આ રસ્તાઓનું બંધ પડેલ કામ તાત્કાલીક શરૂ કરે અને રસ્તાઓ પુરા કરે તેવી લોક લાગણી પ્રવર્તી રહી છે.