સૌરાષ્ટ્ર-કચ્છ
News of Sunday, 24th June 2018

જામજોધપુર પીએસઆઇ સહિતની પોલીસ ટૂકડી પર બુટલેગરનો જીવલેણ હુમલોઃ પીએસઆઇશ્રી પરમારે સ્વ બચાવમાં કર્યુ એક રાઉન્ડ ફાયરીંગઃ બુટલેગરોએ પોતાની ગાડીથી પોલીસની ગાડીને મારી ઠોકરઃ પોલીસ ટૂકડી ઉપર ટોળાંનો પથ્થરમારોઃ ભાણવડ તાલુકાના કલ્યાણપુર ગામ પાસેની ઘટનાઃ જામનગર અને દેવભૂમિ દ્વારકા પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે જવા રવાના

 જામજોધપુર: જામનગર જિલ્લાના જામજોધપુર પોલીસ દફતરના દારૂ પ્રકરણના આરોપીને પકડવા ગયેલ જામજોધપુર પોલીસ પર બુટલેગર સહિતના ટોળાએ હુમલો કરતા સનસનાટી મચી જવા પામી હતી. પોલીસની ગાડી પર ગાડી ચડાવી દેવાના કરાયેલ પ્રયાસ બાદ ટોળાએ પથ્થરમારો કરતા જામજોધપુર પીએસઆઈએ પોતાની સર્વિસ રીવોલ્વર માંથી એક રાઉન્ડ ફાયરિંગ કરી ટોળા પર નિયંત્રણ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનાને પગલે ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો.

જામનગર અને દેવભૂમિ દ્વારકા પોલીસને સાંકળતી ઘટનાની વિગત મુજબ, જામનગર જીલ્લાના જામ જોધપુર તાલુકા પોલીસ દફતરમાં નોંધાયેલા પ્રોહીબીસન કેશનો આરોપી અરજણ આલા રબારી દેવભૂમિ દ્વારકા જીલ્લાના ભાણવડ તાલુકાના કલ્યાણપુર ગામે યોજાયેલા એક ધાર્મિક-સામાજિક કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાનો હોવાની જામજોધપુર પોલીસને હકીકત મળી હતી. જેના આધારે પીએસઆઈ જે ડી પરમાર સહિતના સ્ટાફે અન્ય જીલ્લામાં દરોડો પાડ્યો હતો, જેમાં આરોપી સહિતના ટોળાએ પ્રથમ પોલીસના વાહન પર વાહન ચડાવી પોલીસકર્મીઓની હત્યા નીપજાવવા પ્રયાસ કર્યો હતો. જો કે પોલીસ આ હુમલામાંથી બહાર આવે તે પૂર્વે ટોળાએ પોલીસ પાર્ટી પર પથ્થર મારો કરતા સનસનાટી મચી ગઈ હતી. જેની સામે પીએસઆઈ પરમાર પોતાના વાહન માંથી બહાર આવ્યા હતા અને ટોળાના હુમલાને ખાળવા સ્વબચાવમાં એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું.

જો કે આ ફાયરીંગમાં કોઈને ઈજા પહોચ્યાના સમાચાર જાણવામાં મળ્યા નથી. પોલીસે સ્વબચાવમાં કરેલ ફાયરિંગને લઈને ટોળા વિખેરાઈ ગયા હતા. બુટલેગર સહિતના સખ્શો કાર લઇ નાશી ગયા હતા. આ બનાવની જાણ થતા જામનગર અને દ્વારકા એલસીબી અને સ્થાનિક પોલીસના કાફલા સહિતના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે જવા રવાના થયા હતા. આ બનાવ અંગે ભાણવડ પોલીસે પોલીસ પર જીવલેણ હુમલો, કાવતરું અને રાયોટીંગ સહિતની કલમો મુજબ ફરિયાદ નોંધાવવા આગળની કાર્યવાહી શરુ કરી હતી. નાશી છુટેલા આરોપીઓને પકડી પાડવા પોલીસ દ્વારા નાકાબંધી કરવામાં આવી હતી.

(12:21 pm IST)