સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 24th May 2019

ધ્રાંગધ્રા વિધાનસભામાં આયાતી ઉમેદવાર પરસોતમ સાબરીયા માટે પણ મોદી મેજીક

વઢવાણ, તા.૨૪: સુરેન્દ્રગર લોકસભાની સાથે ધ્રાંગધ્રા વિધાનસભાની બેઠક માટે પેટા ચુંટણી યોજાઇ હતી. જેમાં ભાજપના જ્ઞાતીના અને કોંગ્રેસના પાટીદાર ઉમેદવાર વચ્ચે સીધ્ધો જ જંગ હતો.જેમાં કોંગ્રેસના ધારાસભ્ય પદેથી રાજીનામુ આપીને ભાજપમાં જોડાયા બાદ ટીકિટ લઇને આવેલા પરશોતમભાઇ સાબરીયાની ૩૪,૨૮૦ મતે જીત થઇ હતી.

૨૦૧૭માં વિધાનસભાની ચુંટણી યોજાઇ હતી ત્યારે ધ્રાંગધ્રા વિધાનસભાની બેઠક ઉપરથી કોંગ્રેસના પરશોતમભાઇ સાબરીયાની જીત થઇ હતી. પરંતુ થોડા મહિનાઓ પહેલા હળવદમાં બહાર આવેલા સીંચાઇ કૈાભાંડમાં સાબરીયાનું નામ ખુલતા તેમને જેલની હવા ખાવી પડી હતી. પરંતુ જેલ માંથી બહાર આવ્યા બાદ કોંગ્રેસના ધારાસભ્ય પદેથી તેમણે રાજીનામુ આપી દેતા પેટા ચુંટણી યોજાઇ હતી. જેમાં ભાજપે રાજીનામુ આપનાર અને ચું.કોળી જ્ઞાતીના પરસોતમભાઇ સાબરીયાને ટીકિટ આપી હતી. જયારે કોંગ્રેસ જીલ્લા પંચાયતના સભ્યઅને પાટીદાર આગેવાન દિનેશભાઇ પટેલને મેદાનમાં ઉતાર્યા હતા.બંને વચ્ચે સીધી જ ફાઇટ હતી. મતદાન બાદ કોણ જીતશે તે કહેવુ મુશ્કેલ બની ગયુ હતુ. ત્યારે ખૂબ જ સામાન્ય મતથી આ વિધાનસભાની પેટાચુંટણીમાં હારજીત થવાનું માનવામાં આવી રહયુ હતુ પરંતુ ગુરૂવારે યોજાયેલા મતદાનમાં ભાજપના પરશોતમભાઇ સાબરીયાને૯૯,૨૫૨ જયારે કોંગ્રેસના દિનેશભાઇ પટેલને ૬૪,૯૭૨ મત મળતા સાબરીયાની ૩૪,૨૮૦ મતે જીત થઇ હતી.જ્ઞાતીવાદના રાજકારણની સાથે લોકસભાની જે પેટા ચુંટણીમાં ભાજપનો જુવાળ હતો તેનો ફાયદો મળવાથી સાબરીયાની નાવ પણ પાર લાગી ગઇ હોવાનું લોકો માની રહયા છે.પેટા ચુંટણીમાં પણ ભગવો લહેરાતા ભાજપના કાર્યકરો ઉત્સાહમાં આવી ગયા હતા. પરશોતમભાઇના વિજય સરદ્યસમાં લોકો જોડાયા હતા. નોંધનીય છે કે, ભાજપે રાજીનામુ આપનાર અને ચું.કોળી જ્ઞાતીના પરસોતમભાઇ સાબરીયાને ટીકિટ આપી હતી. જયારે કોંગ્રેસ જીલ્લા પંચાયતના સભ્યઅને પાટીદાર દિનેશભાઇ પટેલને મેદાનમાં ઉતાર્યા હતા.

(1:18 pm IST)