સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 24th May 2019

જવાહરભાઇ ચાવડાને ભાજપ ફળ્યું: ૯૧૦૨ મતોની લીડ

પક્ષપલટા બાદ પુનઃ માણાવદરના ધારાસભ્યપદે ચૂંટાયાઃ હરીફ ઉમેદવાર કોંગ્રેસના અરવિન્દભાઇ લાડાણીએ પ્રથમવાર વિધાનસભાની પેટા ચૂંટણીમાં ઝુકાવેલ

પોરબંદર તા.૨૪: માણાવદર વિધાનસભાની પેટા ચૂંટણીની પોરબંદરમાં મતગણતરીના પ્રારંભથી ૩૭૯૧ મતો સાથે ભાજપના જવાહરભાઇ ચાવડા આગળ ચાલી રહ્યા હતા. તેમના હરીફ ઉમેદવાર કોંગ્રેસના અરવિંદભાઇ લાડાણીને ૯૬૮ મત મળ્યા હતા ત્યારપછી જવાહરભાઇ ચાવડાને ૨૮૯૮ તેમજ ૪૩૯૦ લીડ ચાલુ રહી હતી. જવાહરભાઇને કુલ ૭૭૦૫૦ મતો તથા ૯૧૦૨ મતોની લીડથી જીત થઇ હતી. ભાજપના ઉમેદવાર જવાહરભાઇ ચાવડા મૂળ જુનાગઢના વતની અને માણાવદર બેઠક ઉપર ૩ વખત ધારાસબ્ય તરીકે ચૂંટાઇ આવેલ છે. તેઓએ પક્ષપલટો કરીને કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાય જતા તેઓને મત્સ્યોદ્યોગના કેબીનેટ મંત્રીનું પદ મળ્યુ હતું તેઓેએ પક્ષપલટો કરતા ચૂંટણીના મતદાન ઉપર અસર પડશે તેવી ચર્ચા ઉઠી હતી. તેઓ કોંગ્રેસના ધારાસભ્ય હતા ત્યારે બીપીએલ ડાર્કઝોન સહિત ખેડૂતોના પ્રશ્નના ઉકેલ લાવ્યાં હતો.

તેમના હરીફ કોંગ્રેસના ઉમેદવાર અરવિન્દભાઇ ઝીણાભાઇ લાડાણી મૂળ કોડવાવના વતની છે તેઓ પ્રથમવાર ધારાસભ્યની ચૂંટણી લડી રહ્યા છે. તેઓ માણાવદર બાટવા ખરીદ વેચાણ સંઘના પ્રમુખ છે. જવાહરભાઇ વિજેતા થતા વિજય સરઘર નીકળ્યું હતું.

(1:20 pm IST)