સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 24th April 2021

મોરબી સિવિલ હોસ્પિટલમાં ઓકિસજનની અછત દૂર કરવા ૯૬૨ લીટરની ટાંકી કાર્યરત

ટાંકી કાર્યરત થતા હવે ઓકિસજનના બાટલાની ઓછી જરૂર પડશે

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા. ૨૩ : મોરબીની સિવિલ હોસ્પિટલમાં કોરોના વિસ્ફોટ વચ્ચે ખાસ કરીને ઓકિસજનની મોટી ઉણપ સામે આવી છે. કોરોનાના દર્દીઓ વધતા ઓકિસજનની ખપત વધવાથી ઘણીવાર કટોકટી સર્જાતી હોવાથી ગેપ પડવાને લીધે ઓકિસજનના દર્દીઓના શ્વાસ અધ્ધર થઈ જતા હતા ત્યારે હવે મોરબી સિવિલમાં ઓકિસજનની કટોકટી દૂર કરવા માટે આજથી ૯૬૨ લીટરની ઓકિસજનની ટાંકી કાર્યરત કરવામાં આવી છે. જેથી, સિવિલના દર્દીઓને ઓકિસજનની કટોકટીમાંથી રાહત થઈ છે.

મોરબીની સિવિલમાં ઓકિસજનની અછતને દૂર કરવા માટે યુદ્ઘના ધોરણે ૯૬૨ લીટરની ક્ષમતાવળી ઓકિસજનની ટાંકીની શરૂઆત કરવામાં આવી છે. આ ઓકિસજનની ટાંકી હાલ ૧૦ થી ૧૨ કલાકના સમય સુધી ઓકિસજન પૂરો પાડે છે. આથી, ઓકિસજનની બોટલ વારંવાર બદલવાની ઝંઝટમાંથી રાહત થઈ છે. જો કે રાત્રે ટાંકી ન ચાલે એટલે બોટલો ચાલુ રાખવી પડે તેમ છે. રાત્રે સ્ટાફનો પણ અભાવ હોય છે અને હાલ એક જ ટાંકી હોય અને એને ભરવા માટે પછી રિફીલીંગ કરીને ફરી ત્યાં જ મુકવાની હોય છે. આ પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાં સુધી ઓકિસજનની બોટલથી જ કામ ચલાવવું પડે એટલે ૨૪ કલાક આ ટાંકી ઉપર નિર્ભર રહી શકાય એમ નથી.

સિવિલ હોસ્પિટલમાં અગાઉ ૧૦૦ બોટલ જોઈતી હતી. તે હવે ૫૦૦ જેટલા ઓકિસજનના બાટલાની જરૂર પડે છે. ત્યારે આ ૫૦૦ બાટલાની જરૂરિયાત સામે હવે આ ઓકિસજનની ટાંકી કાર્યરત થવાથી આશરે ૨૦૦ જેટલા ઓકિસજનના બાટલાની ઓછી જરૂર પડશે. એટલે આ વધારાના રહેતા ઓકિસજનના બાટલાનો બીજે સદઉપયોગ કરી શકાશે. સરવાળે આ ઓકિસજનની ટાંકી ૧૦ થી વધુ કલાક ચાલે તેમ હોવાથી અગાઉ ઓકિસજનમાં દર્દીઓને ગેપ આવતો તે દૂર થઈ ગયો છે.

(12:49 pm IST)