જામનગરમાં કોરોનાના રેકર્ડબ્રેક ૬૦૭ નવા કેસ : ૨૪ કલાકમાં સત્તાવાર ૯ના મોત
(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા. ૨૪ : જિલ્લામાં છેલ્લા ૩ દિવસથી કોરોનાના કેસો ચિંતાજનક રીતે વધી રહ્યા છે.ત્યારે ગઈકાલે છેલ્લા ૨૪ કલાકમાં પોઝિટિવ કેસનો આંકડો ૬૦૦ને પણ પાર થઈ ગયો છે. શુક્રવારે જામનગર શહેરમાં ૩૫૪ અને જિલ્લાના ગ્રામ્ય પંથકમાં ૨૫૩ મળી જિલ્લામાં કુલ ૬૦૭ દર્દીઓ કોરોના પોઝિટિવ આવ્યાનું સત્તાવાર જાહેર કરાયું છે. જયારે જામનગર જિલ્લામાં હવે કોરોના વિસ્ફોટ થઇ રહ્યા છે.
એક તરફ દિવસેને દિવસે કોરોના પોઝિટિવ કેસમાં વધારો જોવા મળી રહ્યો છે ત્યારે જામનગર શહેરમાં ૧૨૫ દર્દીઓ અને ગ્રામ્યમાં ૨૦૦ દર્દીઓને સારવાર બાદ રજા પણ અપાઈ છે.
જામનગરની ગુરૂ ગોવિંદસિંહ હોસ્પિટલ ઉપરાંત ખાનગી હોસ્પિટલમાં પણ કોરોનાની સારવાર દરમિયાન અનેક લોકોના મૃત્યુ થાય છે પરંતુ સત્ત્।ાવાર આંકડા મુજબ આંકડાઓ ખૂબ જ ઓછા આવતા હોવાનું લોકોમાં ચર્ચાઇ રહ્યું છે. તેવામાં ગઈકાલે જામનગર શહેરમાં કોરોનાથી ૯ લોકોના મોત થયાનું સતાવાર જાહેર થયું છે.અને અત્યાર સુધી નો જિલ્લા નો મોતનો સતાવાર આંકડો ૬૦ થયો છે. જેમાં શહેરના ૩૪ મોત થયાનું ઉલ્લેખ કરાયો છે.
એક તરફ દિવસેને દિવસે કોરોના નું સંક્રમણ વધી રહ્યું છે ત્યારે હોસ્પિટલમાં દર્દીઓની હાલત પણ કફોડી બની છે હોસ્પિટલ બહાર લાંબુ વેઇટિંગ જોવા મળી રહ્યું છે તો બીજી તરફ હોસ્પિટલની અંદર પણ દર્દીઓને બહારથી સગા વ્હાલા દ્વારા મોકલવામાં આવતા ટિફિન મોડેથી પહોંચવાની રાહ સામે આવી રહી છે તો કેટલાક કિસ્સાઓમાં દર્દીઓને ટિફિન પહોંચતા નહીં હોવાનું પણ સામે આવ્યું છે. (તસ્વીર : કિંજલ કારસરીયા, જામનગર)