જૂનાગઢમાં કોરોનાનો રાફડો ફાટયોઃ નવા ૧૦૮ કેસની એન્ટ્રી : સીટીમાં બેના મોત
જિલ્લામાં નવા ૨૦૮ કેસની સામે ૧૯૫ દર્દી ડિસ્ચાર્જ : જિલ્લામાં ૨૧૮ કેસનો વધારો : માણાવદર - વંથલીના એક-એક દર્દીનું મૃત્યુ
(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ તા. ૨૪ : જૂનાગઢમાં કોરોનાનો રાફડો ફાટયો હોય તેમ નવા ૧૦૮ કેસની એન્ટ્રી થઇ છે અને સીટીમાં બે કોવિડ પેશન્ટના મૃત્યુ થતાં લોકો વધુ ભયભીત થઇ ગયા છે.
જૂનાગઢ શહેર તેમજ જિલ્લામાં કોરોના નવી રેકોર્ડ સપાટી સર કરવા તરફ આગળ વધી રહેલ છે. શુક્રવારે જિલ્લામાં ૨૧૮ કેસનો વધારો થયો હતો. કુલ ૨૧૮ કેસમાં માત્ર જૂનાગઢ શહેરના ૧૦૮ કેસ હતા.
જિલ્લામાં જૂનાગઢ સીટી બાદ સૌથી વધુ જૂનાગઢ ગ્રામ્યમાં ૧૯ કેસ નવા નોંધાયા હતા. આમ રૂરલ એરિયામાં પણ સંક્રમણ ભયજનક રીતે વધવા પામ્યું છે.
જૂનાગઢ ગ્રામ્ય પછી કેશોદમાં ૧૭ કોરોનાની એન્ટ્રી થઇ હતી. ભેસાણમાં ૧૦, માળીયા-૧૩, માણાવદર-૧, મેંદરડા-૭, માંગરોળ-૧૨, વંથલી-૮ અને વિસાવદર વિસ્તારમાં ૧૦ કોરોના કેસ નોંધાયા હતા.
જૂનાગઢ સીટીમાં નવા ૧૦૮ કેસ નોંધાવાની સાથે બે દર્દીએ અંતિમ શ્વાસ પણ લીધા હતા. આ જ પ્રમાણે માણાવદરના એક અને વંથલીના પણ એક કોવિડ દર્દીને કોરોના ભરખી ગયો હતો. આમ જિલ્લામાં ૨૪ કલાકમાં કોરોનાને લઇ ૪ વ્યકિતના પ્રાણ જતા રહ્યા હતા.
જૂનાગઢ જિલ્લામાં ૨૪ કલાકમાં ૨૧૮ કેસનો ઉમેરો થવાની સાથે સારી બાબત એ રહી હતી કે ૧૯૫ દર્દી કોરોનાને માત આપવામાં સફળ પણ થયા હતા.
જેમાં સૌથી વધુ ૪૬ દર્દી માણાવદર વિસ્તારનાં, જૂનાગઢ સીટી - ૭૫, જૂનાગઢ ગ્રામ્ય-૨૩, ભેંસાણ-૩, માળીયા-૧૫, મેંદરડા - માંગરોળના બે-બે નવા વંથલી ૩ અને વિસાવદરના ૩ કોરોના દર્દી સ્વસ્થ થયા હતા.
બીજી બાજુ જૂનાગઢ શહેર અને ગ્રામ્યમાં અત્યાર સુધીમાં કુલ ૨,૪૧,૭૪૯ લોકોનું રસીકરણ થયું હતું.