કચ્છમાં કોરોનાનો ડંખ યથાવતઃ વધુ ૬ નો ભોગ લીધો, નવા ૨૧૦ કેસ સાથે સારવાર લેતા દર્દીઓ ૧૪૧૪
સ્વૈચ્છિક લોકડાઉન સફળઃ ભુજની સમરસ હોસ્ટેલમાં ૧૫૦ બેડની નવી હોસ્પિટલ શરૂ
(વિનોદ ગાલા દ્વારા) ભુજ, તા.૨૪: કચ્છમાં કોરોનાનું સંક્રમણ અટકાવવા ૩૦૦ થી યે વધુ ગામો અને ૫ શહેરોમાં સ્વૈચ્છિક લોકડાઉન સફળ રહ્યું છે. જોકે, તે વચ્ચે પણ કોરોનાનો ડંખ યથાવત રહ્યો છે. કોરોનાએ વધુ ૬ નો ભોગ લેતાં કચ્છમાં સરકારી ચોપડે મરણાંક ૧૩૯ થયો છે. જોકે, બિનસરકારી મરણાંક તો એથીયે ભારે ઊંચો છે. અત્યારે નવા પોઝિટિવ કેસમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. ૨૧૦ કેસ સાથે સારવાર લેતાં એકિટવ દર્દીઓની સંખ્યા વધીને ૧૪૧૪ ઉપર પહોંચી છે. અત્યારે ભુજમાં સમરસ હોસ્ટેલ મધ્યે ૧૫૦ બેડની નવી કોવિડ હોસ્પિટલ શરૂ કરાઈ છે. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કોરોના ના દર્દીઓ માટે ૧૨૪૯ બેડ ખાલી હોવાનો દાવો કરાયો છે. જોકે, અંજાર માં ૧૮૯ અને ગાંધીધામમાં ૨૫૭ બેડ ખાલી હોવાના તંત્રના દાવા વચ્ચે ત્યાંના દર્દીઓને ભુજ રીફર કરી દેવાયા હતા. ખાલી બેડ અંગે તંત્રના દાવાઓ સામે અનેક સવાલો થઈ રહ્યા છે.