ઘેલા સોમનાથ મંદિરે માતાજીની મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ ધામધૂમથી સંપન્ન
જસદણ, તા.૨૪ : શ્રી ઘેલા સોમનાથ મંદિર ટ્રસ્ટના વહિવટદાર મનુભાઇ શીલુ જણાવે છે. આ મંદિર સરકાર સંચાલિત ટ્રસ્ટ છે. જેના અધ્યક્ષ કલેકટર રાજકોટ છે. ઉપાધ્યક્ષ નાયબ કલેકટર જસદણ છે અને સભ્ય સચિવ તરીકે મામલતદાર જસદણ છે અને ૧૪ વ્યકિતની મંદિરની વહિવટી કમિટી છે.
ઘેલા સોમનાથ મંદિરની સામે ટેકરા ઉપર મા મીનળદેવી માતાજીનું મંદિર આવેલ છે. ત્યાં તાજેતરમાં ત્રણ દિવસમાં અંબાજીમાંની મૂર્તિ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ મંદિર ટ્રસ્ટ તરફથી રાખેલ આ કાર્યક્રમમાં ત્રણ દિવસ માતાજીનો હવન રાખવામાં આવેલ હતો. આ ધાર્મિક કાર્યક્રમમાં હજારો ભાવિકોએ દર્શનનો લાભ લીધેલ અનેે મૂર્તિ પ્રતિષ્ઠાના દિવસે ૨૦૦ યાત્રિકોએ ભોજન પ્રસાદનો લાભ લીધેલ.
મૂર્તિ પ્રતિષ્ઠામાં યજ્ઞ તથા ભોજન ખર્ચના દાતા જીતુભાઇ રાઠોડ (મામલતદાર કચેરી, જસદણ), હિતેન્દ્રભાઇ શુકલ (ભીખુભાઇ) પીપરડી વાળા તથા હસુભાઇ ગજજર અમદાવાદવાળા તરફથી આ કાર્યમાં સહયોગ મળેલ છે. મૂર્તિ પ્રતિષ્ઠા તથા યજ્ઞના વિદ્યવાન શાસ્ત્રી બળવંતભાઇ શુકલ લાઠીવાળા તેમજ પુજારી હસુભાઇ જોષીએ વૈદોકત મંત્રથી વિધી વિધાનથી પૂર્ણ કરેલ છે. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે મંદિરના મેનેજર વીરગરભાઇ ગોસાઇએ ભારે જહેમત ઉઠાવી હતી તથા કાળાસર ગામના સેવકોએ ત્રણ દિવસ નિસ્વાર્થ ભાવે સેવા આપેલ હતી.