ગારીયાધારઃ સંત શિરોમણી વાલમરામબાપાની પૂણ્યતિથિની ભાવભેર ઉજવણી
શહેરમાં ખાણીપીણીના સ્ટોલોઃ માનવ મહેરામણ ઉમટયો...
ગારીયાધાર, તા. ૨૩ :. સિદ્ધ પુરૂષ સંત વાલમરામબાપાની ૧૩૨મી પૂણ્યતિથિની ભાવ અને ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી.
ગારીયાધારના સંત વાલમરામબાપાની પૂણ્યતિથિ નિમિતે ચરણપાદુકા પૂજન, બટુક ભોજન, મહાપ્રસાદ, ભવ્ય શોભાયાત્રા, મહાઆરતી અને ડાયરાના કાર્યક્રમો થયા હતા.
પૂ. ભોજલરામના સદગુરૂના ચરણે ગુરૂપદ લઈ અને જલારામબાપાના ગુરૂભાઈ બને નાની ઉંમરે સંત તરીકેના અવિરત પરચાઓ આપ્યા બાદ સિદ્ધ પુરૂષ તરીકે જગવિખ્યાત સંત બન્યા.. જેઓ આજની તારીખે પરચાઓ પુરી રહ્યા છે.
જેમની પરંપરાગત રીતે વર્ષોથી પૂણ્યતિથિની ઉજવણી સમગ્ર ગારીયાધાર ઉમળકાભેર ઉજવે છે. જેમની ૧૩૨મી પૂણ્યતિથિ શોભાયાત્રામાં મહેરામણ જોવા મળ્યો હતો. આ શોભાયાત્રામાં ઘોડેસવારો અલગ અલગ કૃતિઓમાં વિવિધ મંડળોના ફલોટસ મહિલા મંડળો, સત્સંગ મંડળો, ટ્ર્ેકટરો અને ગાડાઓ શણગાર કર્યા હતા. મંડળોની નાની બાળાઓ ગામઠી પોશાકમાં જોવા મળ્યા હતા. જ્યારે દેવી કાળકા અને શિવજીની વેશભૂષાઓ જોઈ સૌ કોઈ ચકીત બન્યા હતા. પૂણ્યતિથિ નિમિતે રકતદાન કેમ્પ પણ યોજાયો હતો. જેમાં સર ટી હોસ્પીટલની ટીમ અને ગારીયાધારના યુવાનો દ્વારા ૮૦ બોટલ રકતની બોટલ એકત્ર કરાઈ હતી. તેમજ લોકસાહિત્યકાર માલધારી અને ભજનીક બીરજુ બારોટનો ડાયરો યોજાયો હતો.(૨-૬)