અમરેલીમાં પત્નિ નવજાત દિકરાને રમાડવા દેતી ન હોઇ શની દેસાઇએ જિંદગી ટૂંકાવી
ઝેરી દવા પી લેતાં રાજકોટ હોસ્પિટલમાં દમ તોડ્યોઃ પરિવારમાં અરેરાટી
રાજકોટ તા. ૨૪: અમરેલીની માણેક સોસાયટીમાં રહેતાં શની મનોજભાઇ દેસાઇ (ઉ.વ.૨૬) નામના યુવાને ઝેરી ટીકડીઓ પી આપઘાત કરી લેતાં પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી.
શનીએ ગત સાંજે ઘઉંમાં રાખવાની ટીકડીઓ પી લીધી હતી. ઉલ્ટીઓ કરવા માંડતા અમરેલી હોસ્પિટલમાં અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ મોડી રાતે દમ તોડી દેતાં હોસ્પિટલ ચોકીના રણછોડભાઇ સાંબડે અમરેલી પોલીસને જાણ કરી હતી.
શની બે ભાઇમાં મોટો હતો અને પ્લમ્બીંગ કામ કરતો હતો. તેનો પરિવાર મુળ વડોદરા પાસેના સોનગઢ વ્યારાનો વતની છે. કેટલાક સમયથી અમરેલી રહેવા આવ્યા હતાં. એક વર્ષ પહેલા તેના લગ્ન અમરેલીની જ્યોતિ સાથે થયા હતાં. સંતાનમાં ત્રણ માસનો દિકરો છે.
શનીના સ્વજનઓે કહ્યું હતું કે શનીની પત્નિ અમરેલીમાં જ માવતર ધરાવે છે. તે ડિલીવરી કરવા ગયા બાદ ત્યાં જ રોકાઇ છે. શનિ નવજાત દિકરાને રમાડવા જતો હોઇ તેને તેની પત્નિ દિકરાને રમાડવા દેતી ન હોઇ માઠુ લાગી જતાં આ પગલુ ભરી લીધું હતું. આક્ષેપો અંગે પોલીસે વિશેષ તપાસ હાથ ધરી છે.