સૌરાષ્ટ્ર-કચ્છ
News of Sunday, 24th March 2019

સુરેન્દ્રનગર બેઠક પરથી દેવજી ફતેપરાનું પત્તુ કપાતા લાલઘુમ

જયંતિ કવાડિયાના કારણે મારી ટિકિટ કપાઈ : કુંવરજી બાવળિયાના આકરા દિવસ આવવાના હજુ બાકી છે, પૈસાના જોરે ધનજી પટેલ અને કવાડિયાએ બધુ ગોઠવ્યું

અમદાવાદ,તા. ૨૪ : સુરેન્દ્રનગર લોકસભાની બેઠક પર ડો. મહેન્દ્ર મુંજપરાને ટિકિટ મળતા હાલના સાસંદ દેવજી ફતેપરાનું પત્તુ કપાયું છે, જેને લઇ તેમણે ગંભીર નારાજગી વ્યક્ત કરી છે. રાજકોટ સ્થિત તેમના નિવાસસ્થાને મીડિયા સાથેની વાતચીતમાં ફતેપરાએ જણાવ્યું હતું કે, ભાજપમાં જુથવાદ ચાલી રહ્યો છે. સેન્સની પ્રક્રિયા માત્ર એક નાટક છે. કુંવરજીભાઇને સમય આવ્યે ખબર પડશે, બાવળિયાના આકરા દિવસો હજુ ભાજપમાં આવવાના બાકી છે. જયંતી કવાડિયાને કારણે મારી ટિકિટ કપાઇ છે એવો સીધો આરોપ પણ તેમણે લગાવ્યો હતો. ફતેપરાએ વધુમાં જણાવ્યું હતું કે, ધનજીભાઇ પટેલે આ બધું ગોઠવ્યું છે. પૈસાના જોરે ગોઠવવામાં આવ્યું છે. જેમાં જયંતી કવાડિયા પણ સામેલ છે. આગામી દિવસોમાં મારે શું કરવું તે મારો સમાજ કહેશે તેમ કરીશ. બળવો કરવો કે કોંગ્રેસમાં જવું તે આગામી બે દિવસોમાં સમાજને મળી સમાજ કહેશે તેમ કરીશ. સમાજ કહેશે તો રાજીનામું આપી દઇશ તેમજ સમાજ કહેશે તો હાલના ઉમેદવારને હરાવવા જોર લગાવીશ. સોમાભાઇ મારા ખાસ મિત્ર છે અને વડીલ પણ. તેમણે ભાજપ પરત્વે પણ બળાપો ઠાલવ્યો હતો કે, મને ભાજપમાં કોઇ મોટા નેતાએ કંઇ કહ્યું જ નહીં અને હવે ફોન બંધ આવે છે. સુરેન્દ્રનગરમાં મારા કામ બોલતા છતાં આવું કેમ કરવામાં આવ્યું તે મોટો સવાલ છે. ડો.મહેન્દ્ર મુંજપરાને ટિકિટ અપાઇ તેમાં તેનું કોઇ યોગદાન નથી. દેવજી ફતેપરાએ જણાવ્યું હતું કે, અમારા સુરેન્દ્રનગરમાં ધનજી પટેલ એક મોટા માણસ છે, હું તો નાનો માણસ છું. ધનજી પટેલે તેના ભાણેજને બિઝનેસ કરવા માટે મને મળેલો દિલ્હીનો બંગલો માંગ્યો હતો જે મેં આપવાની ના પાડતા તેમણે અને જયંતી કાવડીયાએ પૈસાના જોરે મારી વિરુદ્ધ કાવતરૂ રચી મારી ટિકિટ કપાવી છે. ફતેપરાના આક્ષેપ અંગે જયંતી કવાડિયાએ જણાવ્યું હતું કે, દેવજી ફતેપરા મારા ખાસ મિત્ર છે. મને ટિકિટ કાપવાનો કોઇ હક નથી. તમામ સમાજ મારી સાથે છે, દેવજીભાઇનું મન અમે જીતેલું છે. અમારા માટે પાર્ટી મહત્વની હોય છે. ધનજી પટેલે જણાવ્યું હતું કે, જે આરોપ છે તે વ્યક્તિગત છે, મારે બંગલાની જરૂર નથી. આમ, હવે ટિકિટને લઇ સમગ્ર મામલો ગરમાયો છે.

(9:24 pm IST)