મોરબીના જુના સાદુળકા ગામે દીપડાએ નીલગાયનું મારણ કર્યાની આશંકા
વન વિભાગની ટીમ દોડી ગઈ, દીપડાના સગડ મેળવવા તપાસ
મોરબીના જુના સાદુળકા ગામ નજીક ગત રાત્રીના નીલગાયનું દીપડાએ મારણ કર્યું હોય તેવી ગ્રામજનોએ આશંકા વ્યક્ત કરી હતી તો વનવિભાગ ટીમ પણ દોડી ગઈ હતી અને દીપડાના સગડ મેળવવા માટે સઘન તપાસ ચલાવી છે
જુના સાદુળકા ગામે થોડા દિવસો પૂર્વે જ દીપડાના પંજાના નિશાન જેવા નિશાન જોવા મળ્યા હતા જેથી ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો જોકે તે સમયે વન વિભાગને કોઈ સગડ મળ્યા ના હતા તો ગત રાત્રીના એક નીલગાયનું મારણ કરવામાં આવ્યું હોવાનું ગામના સરપંચ રાજભા પાસેથી જાણવા મળ્યું છે અને નીલગાયનું મારણ સંભવિત દીપડાએ કર્યું હોય તેવી આશંકા પણ વ્યક્ત કરી હતી જે બનાવ અંગે વન વિભાગને જાણ કરી હતી
જેથી વન વિભાગ ટીમ દોડી ગઈ હતી જે મામલે આરએફઓ ભુપેન્દ્રભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે નીલગાયનું મારણ દીપડાએ કર્યું હોવાની સંભાવના નકારી શકાતી નથી હાલ વન વિભાગ દીપડાના સગડ મેળવવા વિસ્તાર ફંફોસી રહી છે અને દીપડાના સગડ મળ્યે પાંજરું મુકવા સહિતની કાર્યવાહી કરવામાં આવશે તો વિસ્તારમાં દીપડો હોવાની સંભાવનાને પગલે ગ્રામજનોમાં ભય ફેલાયો છે