કુંવરજીભાઇ સામેની રાજકીય લડાઇ ચાલુ રાખવા દાવેદારી કરી છે
આટકોટ, તા. ર૩ : હજુ એક મહિના પહેલા જ વિંછીયા તાલુકા ભાજપ પ્રમુખપદે રહેલા નાથાભાઇ વાસાણીએ પણ કોંગ્રેસમાંથી ઉમેદવારની દાવેદારી નોંધાવતા જસદણમાં ભારે રાજકીય ગરમાવો ફેલાઇ જવા પામ્યો છે.
આ અંગે નાથાભાઇ વાસાણીએ બળાપો કાઢતા જણાવ્યું હતું કે હું ૧૯૯૪થી ભાજપ સાથે જોડાયેલો. ર૦૦૪માં કુંવરજીભાઇના ઉમેદવારની સામે મારી પત્ની સવિતાબેનને સરપંચની ચૂંટણીમાં વિજેતા બનતા ભાજપે કુંવરજીભાઇની સામે એક કોળી નેતા તરીકે પ્રમોટ કર્યો અને કુંવરજીભાઇ સામે મને અનેક જગ્યાએ સામે કરી મારો ઉપયોગ કર્યો હોય મારા અને કુંવરજીભાઇ વચ્ચે રાજકીય દુશ્મનાવટ થઇ ગઇ હવે જયારે કુંવરજીભાઇ ભાજપમાં આવ્યા ત્યાર બાદ ભાજપના આગેવાનો મને ભૂલી જઇ મને કે વિંછીયા તાલુકાના ભાજપના આગેવાનોને વિશ્વાસમાં લીધા વગર મારી પ્રમુખ પદેથી હકાલપટ્ટી કરતા મારી કુંવરજીભાઇ સામેની લડાઇ ચાલુ રાખવા મેં કોંગ્રેસ પક્ષ પાસે ધારાસભાની ટિકીટની માંગણી કરી છે તેમ જણાવ્યું હતું. આ દાવેદારીથી રાજકીય ગરમાવો પ્રસરી ગયો છે.