અકસ્માતમાં ઘવાયેલા કુતિયાણાના હનુમાનગઢના પોલીસ કોન્સ્ટેબલ રામભાઇ બાપોદરાએ દમ તોડ્યો
૨ જુલાઇએ નોકરીએ જતી વખતે રાણાવાવ સર્કલ પાસે કારની ઠોકરે ચડ્યા'તાઃ રાજકોટમાં બે માસની સારવાર કારગત ન નિવડીઃ પરિવાર-પોલીસબેડામાં શોક
રાજકોટ તા. ૨૩: કુતિયાણાના હનુમાનગઢ ગામે રહેતાં અને પોરબંદર પોલીસ હેડકવાર્ટરમાં ફરજ બજાવતાં કોન્સ્ટેબલને બે મહિના પહેલા અકસ્માતમાં ઇજાઓ થતાં રાજકોટ સારવાર હેઠળ હતાં. પરંતુ બે મહિનાની સારવાર કારગત નિવડી નહોતી અને દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.
જાણવા મળ્યા મુજબ કુતિયાણાના હનુમાનગઢ ગામે રહેતાં અને પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતાં રામભાઇ સરમણભાઇ બાપોદરા (ઉ.વ.૨૭) તા. ૨/૭/૨૧ના રોજ બાઇક હંકારી ઘરેથી નોકરી પર જઇ રહ્યા હતાં ત્યારે કારની ઠોકરે ચડી જતાં ગંભીર ઇજા થતાં સારવાર માટે રાજકોટ ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતાં. અહિ ગત સાંજે દમ તોડી દેતાં હોસ્પિટલ મારફત જાણ થતાં એ-ડિવીઝનના એએસઆઇ રાજુભાઇ સોલંકી તથા નિવરભાઇએ જરૂરી કાર્યવાહી કરી હતી.
રામભાઇ પોરબંદર પોલીસ હેડકવાર્ટરમાં ફરજ બજાવતાં હતાં. રાણાવાવ સર્કલ પાસે રસ્તા પર કટ હોઇ ત્યાંથી પસાર થતાં ફોરવ્હીલરની ઠોકરે ચડી ગયા હતાં.