સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 23rd September 2019

ભાણવડમાં ૩ તલાટી મંત્રીની જગ્યા હોવા છતા એકની તલાટી મંત્રીની નિમણુંકથી અરજદારો હેરાન

 ભાણવડ તા.૨૩ : છેલ્લા ઘણા સમયથી ૩ તલાટી મંત્રીની જગ્યા છે અને જરૂરીયાત પણ હોવા છતા એક જ તલાટી મંત્રીથી ગાડુ ગબડાવવામાં આવી રહ્યુ હોય અરજદારોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

એકમાત્ર તલાટી મંત્રી પર વધારાનો ચાર્જ ઢોળી દેવામાં આવતો હોય છે. હાલ એક જ તલાટી મંત્રીને વધારાનો પાછતર ગૃપનો પણ ચાર્જ સોપેલ છે જેમાં આઠ જેટલા ગામોનો સમાવેશ થાય છે. આટલુ ઓછુ હોય તેમ આ એકમાત્ર તલાટી પાસે સરકારી કામકાજ સહિતની અનેક કામગીરીઓ પણ કરાઇ રહી હોય તલાટીમંત્રી સંલગ્ન કામ માટે આવતા તાલુકાભરના અરજદરો ભારે હેરાન થઇ રહ્યા છે. ૩ તલાટીનું કામ એક પાસે કરવામાં આવતુ હોય તેમના પર પણ કામના ભારણનો બોજ રહે છે અને જરૂરીયાતમંદ અને ઇમરજન્સીવાળા અરજદારો પારાવાર હાલાકી વેઠી રહ્યા છે ત્યારે આ હાલાકી અને પરેશાની દૂર કરવા વહેલી તકે તલાટી મંત્રીની જગ્યા ખાલી પડેલ પુરવા પ્રબળ લોકમાંગ ઉઠી છે.

(11:55 am IST)