દામનગરમાં સફાઇ અભિયાનનું સુરસુરીયું!!
સીતારામનગરમાં ૧૫ દિ'થી ભુગર્ભ ગટર છલકાય છે
દામનગર તા.૨૩ : શહેરમાં સફાઇ અભિયાનનું સુરસુરીયુ થવા પામેલ છે. સરકારે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવી છે. છતા દામનગરમાં નિયમીત સફાઇનો અભાવ જોવા મળે છે. ગંદકી કચરાના ગંજ સાથે ભુગર્ભ ગટરો ઉભરાય રહી છે.સ્વચ્છતા અભિયાન માટે રાજયનો શહેરી વિકાસ વિભાગ કરોડોના બજેટ ફાળવે છે. છતા ન.પા. દ્વારા સફાઇ માટે જોઇએ તેવો ઉત્સાહ દેખાડાતો નથી.
શહેરના આર્થિક પછાત વિસ્તાર સીતારામનગરની મુખ્ય બજારોમાં ૧૫-૧૫ દિવસથી ભુગર્ભ ગટરના પાણી રસ્તા પર ફરી રહ્યા છે. લોકોને ઘરમાંથી બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે.
ન.પા.માં હાલ ત્રણ સેનેટરી ઇન્સપેકટરો છે. સફાઇના સાધનો છે તો સફાઇ કામદારોની પણ ઘટ નથી તો પછી અહીના સીતારામનગરમાં સફાઇ પ્રશ્ને કેમ દુર્લભ સેવાઇ રહ્યુ છે કે માત્ર પછાત વિસ્તાર હોવાથી ધ્યાન અપાતુ નથી તેવો પ્રશ્ન લોકોમાં ચર્ચાઇ રહ્યો છે.
આ વિસ્તારમાં આંગણવાડી કેન્દ્રનં.પમાં પ્રવેશ દ્વાર પાસે જ ગંદકી જોવા મળતી હોય બાળકોને કેન્દ્રમાં જવા આવવામાં મુશ્કેલી પડે છે તેમજ બાળકોને રોગચાળાનો ભય પણ સતાવી રહ્યો છે.
ઘણા વિસ્તારમાં નિયમીત સફાઇ કામદારો પણ જવા ન હોવાની ફરીયાદ ઉઠી છે. ત્યારે ન.પા. તંત્ર વાહનો તાકીદે સફાઇ ઝુંબેશ હાથ ધરી શહેરને સુંદર બનાવે તેવી લોકલાગણી પ્રવર્તી રહી છે.