ખેતરમાં દવા છાંટી એટલે ખેડૂત પરિવાર ઉપર હથીયારો સાથે હુમલો
દવા છાંટવાથી ચરતા પશુઓને નુકશાન થશે તેમ કહીને તૂટી પડયાઃ નેત્રંગના કબીર ગામની સીમમાં બનાવ
રાજકોટઃ નેત્રંગ તાલુકાના કબીર ગામની સીમમાં ખેતરમાં દવા છાંટી હોવાનું કહેતા પશુ પાલક સહીત ૧૦થી વધુ લોકોના ટોળાએ ખેડૂત પરિવાર ઉપર હુમલો. કરતા ઘાયલ થયા છે ઈજાગ્રસ્તને સારવાર અર્થે અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે
આ અંગે મળતી વિગત મુજબ નેત્રંગ તાલુકાના કબીર ગામના પટેલ ફળિયામાં રહેતા નરેશભાઈ રાઘવભાઈ બલર પોતાના ખેતરે સોયાબીનના પાકમાં દવા છાંટી રહ્યા હતા તે સમયે ખેતરના શેઢા પર ભૂલેશ્વર ગામનો અમરસિંગ ચુનિયાભાઈ વસાવા પશુ ચરાવતો હતો. આ સમયે ખેડૂત નરેશભાઈ બલરે તેને ખેતરમાં દવા છાંટવામાં આવતી હોવાથી ઢોર ઢાંખરને નુકશાન થશે તેમ કહેતા પશુ પાલક અમરસિંગ વસાવા સહીત અન્ય ૧૦ થી વધુ લોકોના ટોળા સાથે ખેડૂતની ઓરડી ખાતે ધસી આવી ખેડૂત નરેશભાઈ બલર અને તેઓની પત્ની મમતાબેન બલર અને મોટાભાઈ બાબુભાઈ બલર પર હથિયારો વડે હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી ફરાર થઇ ગયા હતા. ઈજાગ્રસ્ત ખેડૂત પરિવારને અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.