લગ્નના દોઢ વર્ષનાં ગાળામાં સંતાન ન થતા ભાવનગરમાં પરિણીતાનો આપઘાત
ભાવનગર તા.૨૩: ભાવનગરમાં દોઢ વર્ષના લગ્નગાળામાં બાળક ન થતાં પરણીતાએ ગળાફાંસો ખાઇ આપઘાત વહોરી લીધો હતો.
ભરતનગર વિસ્તારમાં સીતારામ ચોક નવા બે માળીયા રૂમ નં.૧૦૨૪માં રહેતાં માયાબેન ગોપાઇભાઇ મેર ઉ.વ.૨૦ નામની પરણીતાએ તેનાં ઘેર ગળાફાંસો ખાઇ આત્મહત્યા વહોરી લીધી હતી. મૃતકનાં લગ્ન દોઢ વર્ષ પહેલા તેની બહેનનાં લગ્નની સાથોસાથ જ થયાં હતા. અને તેની બહેનનાં ઘેર બાળકનો જન્મ થયો છે જયારે દોઢ વર્ષનાં લગ્નગાળામાં તેણેનાં ઘેર બાળક ન થતાં લાગી આવતા ઝેરી દવા પી લઇ આ પગલું ભર્યુ હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલવા પામ્યું છે.
ઇલેકટ્રીક શોક લાગતાં મોત
ભાવનગર શહેરના આખલોલ જકાતનાકા પાસે ઇન્દિરાનગરમાં રહેતા કિશન ભીખાભાઇ ડાભી ઉ.વ.૧૬ નામનો કિશોર તેનાં ઘેર પંખો રીપેર કરતો હતો તે વેળાએ અચાનક ઇલેકટ્રીક શોક લાગતાં તેને બેભાન હાલતે હોસ્પિટલ ખસેડાયેલ જયાં ફરજ પરનાં તબીબે તેને મૃત જાહેર કરેલ. આ બનાવે પરિવારમાં શોકની લાગણી ફેલાઇ ગઇ હતી.