પોરબંદરમાં ઇલેકટ્રોનીક અને યાંત્રીક સાધનોના ઉપયોગ અંગે એક દિવસીય કાર્યશાળા યોજાઇ
પોરબંદર તા.ર૩ : જિલ્લાની સરકારી અને ગ્રાન્ટેડ કોલેજોમાં અભ્યાસ કરતા નોન-ટેકનીકલ વિદ્યાશાખાના વિદ્યાર્થીઓ માટે એક દિવસીય કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૭ કોલેજોના ૩૪ વિદ્યાર્થીઓ અને ૬ કોલેજ કો.-ઓર્ડીનેટર્સને માસ્ટર ટ્રેઇનર જીતેન્દ્ર આહિર દ્વારા નિદર્શન અને પ્રયોગ વડે તાલીમ આપવામાં આવી હતી. આ કાર્યશાળાના બે સેશન દરમ્યાન તાલીમાર્થીઓને બેઝીક ઇલેકટ્રોનીક કિટ, મીકેનીકલ કિટ, એર્ન્જી કન્ઝર્વેશન કિટ વી.આર.ગ્લોબ કિટ, ટેલીસ્કોપ કિટ, મીકટ્રોનીકસ કિટ, એડવાન્સ સાયન્સ કિટ, એડવાન્સ ઇલેકટ્રોનીક કિટ, એગ્રીટેક કિટ અને ડ્રોન કિટમાં સમાવિષ્ટ વિવિધ સાધનો અને યંત્રોના ઉપયોગને પ્રત્યક્ષ તાલીમ આપવામાં આવી હતી. આ તાલીમમાં જોડાયેલા તમામ વિદ્યાર્થીઓ નોન-ટેકનીકલ વિષયોના હોવા છતાં તેમણે ઉત્સુકતા અને રસ દાખવી તાલીમ મેળવી હતી અને ઇલેકટ્રોનીક અને યાંત્રિક સાધનોના ઉપયોગનો જાતે અનુભવ મેળવ્યો હતો.
ગુજરાત રાજયના ઉચ્ચ શિક્ષણ નિયામક એમ.નાગરાજન અને જોઇન્ટ કમિશનર નારાયણ માધુના માર્ગદર્શન હેઠળ સમર ઇન્ડક્ષન કેમ્પનું આયોજન સરકારી વિનયન કોલેજ, રાણાવાવના આચાર્ય કે.કે. બદ્ધભટ્ટી દ્વારા કરવામાં આવ્યું હતું આ આયોજન સફળ બનાવવામાં પોરબંદર જિલ્લાની કોલેજોના ઇનોવેશન કલબ કો-ઓર્ડીનેટર્સ પ્રો.જયેશ ભટ્ટ, પ્રો.અશ્વિન સવજાણી, પ્રિ.વિજયસિંહ સોઢા, ધીરૂભાઇ ધોકિયા, ચિરાગ ચંદેરા, બી.બી.એ. કોલેજના પ્રિન્સીપાલ સુમિત આચાર્ય, વિજ્ઞાન કેન્દ્રના વિવેક ભટ્ટ અને વહીવટી સ્ટાફના રીણાભાઇ કોડીયાતર અને તેજસ ભાટીયાનો સહયોગ રહ્યો હતો. આ કેમ્પમાં હાજર રહેવાની સુગમતા રહે તે માટે સ્વામીનારાયણ ગુરૂકુળના મેનેજીંગ ટ્રસ્ટીનો સહયોગ મળ્યો હતો.